Shah Rukh Khan IPL Controversy: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીઓને સામેલ કરવા બદલ ટીમના માલિક શાહરૂખ ખાન વિરુદ્ધ વિરોધ ઉગ્ર બન્યો છે. પૂર્વ ભાજપ ધારાસભ્ય સંગીત સોમે શાહરૂખ ખાનને 'ગદ્દાર' કહીને સંબોધ્યા હતા. જેના એક દિવસ બાદ હવે વિવિધ ધર્મગુરુઓ અને કથાવાચકોએ પણ આ મામલે મોરચો ખોલ્યો છે.
જગદગુરુ રામભદ્રાચાર્યની કડક ટીકા
નાગપુરમાં આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્યએ IPL 2026 માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કરવા બદલ શાહરૂખ ખાનની આકરી ટીકા કરી હતી. તેમણે શાહરૂખના વલણને 'દેશદ્રોહી' જેવું ગણાવતા કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે આ નિર્ણય અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત સરકારે આવી ઘટનાઓને સહન કરવી જોઈએ નહીં.
કથાવાચક દેવકીનંદન ઠાકુરની ચેતવણી
મુંબઈમાં શ્રીમદ ભાગવત કથા કરી રહેલા દેવકીનંદન ઠાકુરે આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે પાડોશી દેશમાં હિંદુઓ સાથે હિંસક વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાં લેવો એ ખોટો સંદેશ છે. તેમણે શાહરૂખ ખાનને ચેતવણી આપતા કહ્યું કે એ ન ભૂલતા કે આ ભારતીયોએ જ તમને હીરો બનાવ્યા છે, જે હીરો બનાવી શકે છે તે ઝીરો પણ બનાવી શકે છે.
અલીગઢના શાહી ચીફ મૌલાના ચૌધરી ઈફરાહીમ હુસૈને જણાવ્યું હતું કે KKR ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીને સામેલ કરવાના નિર્ણયથી માનવતા શરમાઈ છે. તેમના મતે કોઈપણ વ્યાવસાયિક કે રમતગમતનો સોદો નૈતિક કસોટી પર પાર ઉતરવો જોઈએ. જ્યારે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યા હોય, ત્યારે આવો સોદો દેશહિતની ભાવનાની વિરુદ્ધ છે.
શું છે મામલો
બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હોવાના સમાચારને કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. એક તરફ જ્યારે સરહદ પાર લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો હોય, ત્યારે આવા સંવેદનશીલ સમયમાં આ આર્થિક સોદો નૈતિક રીતે ખોટો ગણવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને પણ શાહરૂખ ખાનને આગ્રહ કર્યો છે કે જો આપણા દેશના લોકો બાંગ્લાદેશમાં અન્યાયનો સામનો કરી રહ્યા હોય, તો આપણે તેમના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી એક મજબૂત સંદેશ જાય.
