Raghav Chadha Resignation: રાઘવ ચઢ્ઢાએ AAP માંથી રાજીનામું કેમ આપ્યું? વીડિયો શેર કરીને કારણ જણાવ્યું

રાઘવ ચઢ્ઢાએ જનતાને ખાતરી આપી છે કે તેઓ જનહિતના મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 27 Apr 2026 12:04 PM (IST)Updated: Mon, 27 Apr 2026 12:04 PM (IST)
raghav-chadha-resigns-aap-reason-video-explained

Raghav Chadha Resignation Reason: ભારતીય રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરીયો ધારણ કરી લીધો છે. તેમની સાથે અન્ય 6 સાંસદો પણ ભાજપમાં જોડાતા 'આપ' ના રાષ્ટ્રીય સંગઠનમાં મોટું ભંગાણ પડ્યું છે. રાઘવ ચઢ્ઢાએ એક ભાવુક વિડિયો સંદેશ દ્વારા આ નિર્ણય પાછળના કારણોનો ખુલાસો કર્યો છે.

'પાર્ટીનું વાતાવરણ ઝેરી બની ગયું છે': રાઘવ ચઢ્ઢા

પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડિયોમાં રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, તેમણે પોતાના જીવનના 15 વર્ષ આ પાર્ટીને સીંચવામાં ખર્ચ્યા છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની શાનદાર કારકિર્દી છોડીને તેઓ દેશસેવા માટે રાજકારણમાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં 'ઝેરી કાર્યકારી વાતાવરણ' (Toxic Work Environment) સર્જાયું છે.

તેમણે આરોપ લગાવ્યો કે, "પાર્ટી હવે કેટલાક પસંદગીના ભ્રષ્ટ વ્યક્તિઓના ચુંગાલમાં ફસાઈ ગઈ છે, જેઓ રાષ્ટ્રહિતને બદલે વ્યક્તિગત લાભ માટે કામ કરી રહ્યા છે. મને સંસદમાં બોલતા અટકાવવામાં આવતો હતો અને રચનાત્મક કામ કરવામાં અવરોધો ઉભા કરવામાં આવતા હતા. મને અહેસાસ થયો કે હું 'ખોટી પાર્ટી'માં એક 'સાચો માણસ' છું."

સાત સાંસદો એકસાથે ભાજપમાં જોડાયા

રાઘવ ચઢ્ઢાની સાથે ભાજપમાં જોડાનાર અન્ય દિગ્ગજોમાં સ્વાતિ માલીવાલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, અશોક મિત્તલ અને રાજેન્દ્ર ગુપ્તા જેવા મોટા નામો સામેલ છે. આટલી મોટી સંખ્યામાં સાંસદોનું પક્ષ છોડવું એ આમ આદમી પાર્ટી માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો છે. રાઘવે પ્રશ્ન ઉઠાવ્યો કે, "એક કે બે વ્યક્તિ ભૂલ કરી શકે, પણ સાત શિક્ષિત સાંસદો ખોટા ન હોઈ શકે. જ્યારે કાર્યસ્થળ ઝેરી બની જાય ત્યારે ત્યાં અસરકારક રીતે કામ કરવું અશક્ય છે."

ભાજપમાં જોડાવાનો હેતુ

રાઘવ ચઢ્ઢાએ જનતાને ખાતરી આપી છે કે તેઓ જનહિતના મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું કે ભાજપમાં જોડાવાથી હવે તેઓ માત્ર પ્રશ્નો જ નહીં ઉઠાવે, પરંતુ સત્તાધારી પક્ષનો હિસ્સો હોવાને કારણે તે મુશ્કેલીઓનો ઉકેલ પણ લાવી શકશે. આ ઘટનાક્રમ બાદ દિલ્હી અને પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.