PM Modi Speech On Pahalgam Attack Anniversary: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એ ભયાનક આતંકવાદી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુઃખદ વરસી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં જીવ ગુમાવનારા 26 નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પીએમ મોદીએ દેશવાસીઓને ખાતરી આપી છે કે ભારત આતંકવાદના નાપાક મનસૂબા સામે ક્યારેય નમશે નહીં અને દુશ્મનોના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
પીએમ મોદીનો ભાવુક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, "ગયા વર્ષે આજના દિવસે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરું છું. તેમને ક્યારેય ભૂલાશે નહીં. આ દુઃખની ઘડીમાં, મારા વિચારો અને સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે."
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
— Narendra Modi (@narendramodi) April 22, 2026
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, "એક રાષ્ટ્ર તરીકે, આપણે શોક અને સંકલ્પમાં એક થઈને ઉભા છીએ. ભારત કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં." પીએમ મોદીના આ શબ્દોમાં ભારતની આતંકવાદ વિરોધી મજબૂત નીતિની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.
દુશ્મનોના કાવતરા ક્યારેય સફળ નહીં થાય
વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓને ચેતવણી આપી છે કે ભારતની અખંડિતતાને તોડવા માટે જે પણ પ્રયાસો કરવામાં આવશે, તેને રાષ્ટ્ર પોતાની અદમ્ય તાકાતથી નિષ્ફળ બનાવશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત હવે માત્ર રક્ષણાત્મક નથી, પરંતુ જરૂર પડ્યે આક્રમક થઈને પણ પોતાના નાગરિકોની સુરક્ષા કરવા સજ્જ છે.
ભારતીય સેનાનો હુંકાર
પહેલગામ હુમલાની વરસી પર ભારતીય સેનાએ પણ સોશિયલ મીડિયા દ્વારા દેશને સુરક્ષાની ખાતરી આપી છે. સેનાએ જણાવ્યું કે ભારત વિરુદ્ધ હાથ ધરવામાં આવતી કોઈપણ સૈન્ય કે આતંકવાદી કાર્યવાહીનો ચોક્કસ અને કડક જવાબ આપવામાં આવશે. સેનાના સંદેશમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, "ન્યાય હંમેશા આપવામાં આવશે અને આ મોરચે કોઈ પણ પ્રકારનું સમાધાન કે શિથિલતા રાખવામાં આવશે નહીં."
નોંધનીય છે કે ગત વર્ષે થયેલા આ હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન મહાદેવ’ અને હાલમાં ચાલી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે.
