PM kisan ekyc update: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ લાભ મેળવનારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. હવે યોજનાના આગામી હપ્તાની રકમ મેળવવા માટે દર વર્ષે બાયોમેટ્રિક e-KYC કરાવવું ફરજિયાત રહેશે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, સમયસર નાણાકીય સહાય ખેડૂતો સુધી પહોંચે અને યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
PM-Kisan યોજનાનો આગામી હપ્તો મેળવવા e-KYC કરાવવું જરૂરી
આ પણ વાંચો
કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, PM-Kisan યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થી ખેડૂતોએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જો ખેડૂતોએ 31 માર્ચ, 2026 પછી e-KYC કરાવ્યું ન હોય, પરંતુ પોર્ટલ પર eKYC: Yes દર્શાવતું હોય, તો પણ તેમણે ફરીથી e-KYC કરાવવું જરૂરી રહેશે. આમ નહીં કરનાર ખેડૂતોને આગામી હપ્તાની સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
ખેડૂતોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા e-KYC પૂર્ણ કરવા માટે ચાર સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ તરીકે ખેડૂત PM-Kisan મોબાઇલ એપ્લિકેશનમાં Login વિભાગમાં જઈ Beneficiary વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત e-KYC for other beneficiaries વિકલ્પ દ્વારા અન્ય લાભાર્થીઓની પણ પ્રક્રિયા કરી શકાય છે.
બીજા વિકલ્પ હેઠળ ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન આધારિત e-KYC કરાવી શકાય છે.
ત્રીજા વિકલ્પ તરીકે ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને બાયોમેટ્રિક e-KYC પૂર્ણ કરી શકાય છે.
ચોથા વિકલ્પમાં તાલુકા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરીને પણ ખેડૂતો સરળતાથી પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. સરકાર દ્વારા ખાસ કરીને એવા ખેડૂતોને પણ અપીલ કરવામાં આવી છે, જેઓ પોતાના મૂળ ગામથી અન્ય શહેર કે ગામમાં સ્થળાંતરિત થયા છે. આવા ખેડૂતો હાલ જ્યાં રહેતા હોય ત્યાંથી જ ઉપરોક્ત ચાર પૈકી કોઈપણ અનુકૂળ પદ્ધતિ અપનાવી e-KYC પૂર્ણ કરી શકે છે.
સરકારે ખેડૂતોને સમયસર e-KYC કરાવી લેવા અનુરોધ કર્યો છે, જેથી PM-Kisan યોજનાનો આગામી હપ્તો મેળવવામાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે અને નાણાકીય સહાય સતત મળતી રહે.
