NIA Chargesheet: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં ગયા વર્ષે થયેલા ભયાનક આતંકી હુમલાને લઈને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં કાળજું કંપાવી દેનારા ખુલાસા સામે આવ્યા છે. 1,597 પાનાના આ વિગતવાર આરોપનામામાં સ્પષ્ટ થયું છે કે, આતંકવાદીઓએ અત્યંત ક્રૂર અને સુનિયોજિત કાવતરા અંતર્ગત 26 નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો હતો. હુમલાખોરોએ રક્તપાત મચાવતા પહેલા આરામથી ઝાડ નીચે બેસીને જમણવાર કર્યો હતો અને ત્યારબાદ આ ખુની ખેલને અંજામ આપ્યો હતો.
મજૂરોના વેશમાં આવ્યા, ધાબળા નીચે છુપાવ્યા હતા હથિયાર
એનઆઈએના રિપોર્ટ અનુસાર, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ બૈસરન વેલીના પ્રખ્યાત પાર્કમાં સામાન્ય મજૂરોના વેશમાં પ્રવેશ્યા હતા. ઓળખ છુપાવવા માટે તેમણે શરીર પર ધાબળા ઓઢ્યા હતા, જેની નીચે તેમણે તીક્ષ્ણ અને અત્યાધુનિક ઓટોમેટિક હથિયારો સંતાડી રાખ્યા હતા. પાર્કમાં પ્રવેશતા પહેલા તેમણે સ્થાનિક મદદગારોને થોડે દૂર રોકાઈ જવા જણાવ્યું હતું અને સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા તથા અવરજવરના રસ્તાઓની આખરી રેકી કરી હતી.
પહેલી ગોળી બપોરે 2:23 વાગ્યે M-4 કાર્બાઇનથી છૂટી
ચાર્જશીટ મુજબ, આતંકીઓએ કાળજીપૂર્વક વ્યુહરચના ગોઠવી હતી. આતંકીઓમાંથી એકે માથા પર ગોપ્રો (GoPro) એક્શન કેમેરો લગાવ્યો હતો જેથી આખા હુમલાનું લાઇવ રેકોર્ડિંગ કરી શકાય. બપોરે બરાબર 2:23 વાગ્યે એક આતંકવાદીએ M-4 કાર્બાઇન રાઇફલથી પ્રથમ ફાયરિંગ કર્યું હતું. આ અવાજ થતાં જ બાકીના બે આતંકીઓએ પાર્કના અલગ-અલગ છેડેથી એકસાથે AK-47માંથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આયોજનબદ્ધ ફાયરિંગને કારણે પ્રવાસીઓને ભાગવાનો મોકો જ મળ્યો નહોતો અને આખો પાર્ક લોહીથી ખરડાઈ ગયો હતો.
ધર્મના આધારે ટાર્ગેટ
આ આતંકી હુમલા પાછળનો મુખ્ય હેતુ દેશમાં કોમી તણાવ અને હિંસા ભડકાવવાનો હતો. બૈસરનમાં પ્રવાસીઓ પર ગોળીઓ ચલાવતા પહેલા આતંકીઓએ ધર્મ પૂછ્યો હતો. એટલું જ નહીં, પાર્કમાંથી ભાગતી વખતે ઝાડીઓ પાછળ છુપાયેલા ત્રણ પ્રવાસીઓને આતંકીઓએ પકડી પાડ્યા હતા અને તેમને કલમા પઢવા કહ્યું હતું. જે વ્યક્તિએ કલમા પઢી લીધા તેને જીવતો છોડી દેવાયો, જ્યારે અન્ય બે નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ભયાનક કૃત્ય બાદ આતંકીઓએ હવામાં ફાયરિંગ કરીને જશ્ન મનાવ્યો હતો.
સ્થાનિક મદદગારોના ઘરે આશરો લીધો હતો
હુમલાના એક દિવસ પહેલા, 21 મેના રોજ આતંકીઓ સ્થાનિક ગ્રામીણ પરવેઝ અહેમદ જોથડના ઢોક પર રોકાયા હતા. પરવેઝના સંબંધી બશીર અહેમદ જોથડે આ આતંકીઓને ત્યાં સુધી પહોંચાડ્યા હતા. હથિયારધારી આતંકીઓએ ઉર્દૂ અને પંજાબી ભાષામાં વાતચીત કરીને જેહાદના નામે મદદ માંગી હતી. પરવેઝની પત્ની તાહિરાએ આતંકીઓ માટે ચા-નાસ્તો અને રાત્રિનું ભોજન બનાવ્યું હતું, જ્યારે આતંકીઓએ તેમના બેગ પલંગ નીચે છુપાવ્યા હતા. હાલમાં એનઆઈએ દ્વારા પરવેઝ અને બશીર બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
