Mithun Chakraborty: બંગાળમાં શપથ સમારોહમાં મિથુન ચક્રવર્તીએ આકર્ષણ જમાવ્યું અને આ કારણે ચર્ચામાં રહ્યા

આ શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડના સુપરસ્ટાર અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીના આગમને ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 09 May 2026 02:39 PM (IST)Updated: Sat, 09 May 2026 02:39 PM (IST)
mithun-chakraborty-arrives-at-the-chief-ministers-swearing-in-ceremony-in-bengal

Mithun Chakraborty: પશ્ચિમ બંગાળમાં ભાજપે ભાજપના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો રાજકીય ઇતિહાસમાં આજે 9 મે 2026 ના રોજ એક નવો અધ્યાય લખાયો છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર વિધિવત રીતે અસ્તિત્વમાં આવી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ બધાની વચ્ચે અભિનેતા મિથુન ચક્રવર્તીએ આકર્ષણ જમાવ્યું હતું.

મિથુન ચક્રવર્તીના વીડિયોએ આકર્ષ્યું ધ્યાન

આ શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડના સુપરસ્ટાર અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીના આગમને ખાસ આકર્ષણ જમાવ્યું હતું. કુર્તા-પાયજામામાં સજ્જ મિથુન દાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મિથુન ચક્રવર્તી જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન મોદી સાથે ગહન ચર્ચા કરતા અને ગૃહમંત્રી અમિત શાહને મળતા પણ જોવા મળ્યા હતા.

પરિવર્તનની ભવિષ્યવાણી સાચી પડી

નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે આ વખતે બંગાળમાં પરિવર્તનની લહેર છે. તેમણે અગાઉ મતદાન દરમિયાન કહ્યું હતું કે જો મતદાન 90 ટકાથી વધુ થશે તો સમજી લેવું કે ફેરફાર ચોક્કસ છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જો પરિવર્તન નહીં આવે તો સામાન્ય લોકો અને હિન્દુઓનું બંગાળમાં રહેવું મુશ્કેલ બની જશે. આજે શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સાથે તેમની આ આશંકાઓ અને અપેક્ષાઓ વચ્ચે નવા શાસનની શરૂઆત થઈ છે.

ભાજપના અનેક મુખ્યમંત્રીઓ અને નેતાઓ હાજર

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુભેન્દુ અધિકારીને ભગવો ખેસ પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા, જેના જવાબમાં મુખ્યમંત્રીએ ઝૂકીને નમન કર્યા હતા. શુભેન્દુ અધિકારીની સાથે અન્ય 5 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ભાજપના અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ચારેબાજુ ભગવો લહેરાતો જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને શુભેન્દુ અધિકારીની તસવીરો સાથે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. સમારોહમાં આવેલા સાધુ-સંતોએ આ દિવસને બંગાળમાં 'રામ રાજ્ય' ની શરૂઆત ગણાવી હતી. આ ઐતિહાસિક દિવસની સાથે જ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનનો નવો સૂર્યોદય થયો છે.