MP Accident News: આગર-માલવામાં વરસાદી નાળામાં તણાઈ શ્રદ્ધાળુઓની કાર; 3 બાળકો, 2 મહિલા સહિત 8 દર્શનાર્થીઓના મોત

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ ટીમો દ્વારા ક્રેન અને ગ્રામજનોની મદદથી યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 19 Sep 2026 12:28 PM (IST)Updated: Sat, 19 Sep 2026 12:28 PM (IST)
madhya-pradesh-agar-malwa-car-swept-away-in-flooded-drain-8-dead-baglamukhi-temple
અગર માલવા અકસ્માત સમાચાર

Agar Malwa Accident News: મધ્યપ્રદેશના આગર-માલવા જિલ્લાના નલખેડા સ્થિત પ્રસિદ્ધ મા બગલામુખી મંદિર નજીક ભારે વરસાદ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક કાર ઉભરાતા વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ જતાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત કુલ 8 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર અને શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

મા બગલામુખીના દર્શન કરી પરત ફરતી વખતે કાળ ભેટ્યો

મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ નલખેડામાં લખુંદર નદીના કિનારે આવેલા પ્રસિદ્ધ મા બગલામુખી ધામ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા. દેશભરમાંથી લાખો લોકો આ શક્તિપીઠ સમાન ધામમાં દર્શનાર્થે આવતા હોય છે. મુખ્ય માર્ગથી મંદિર તરફ જવાના રસ્તા પર એક નાનો પુલ આવેલો છે, જેની નીચે મોસમી નાળું વહે છે.

નલખેડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 3.7 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં રાત્રિના સમયે વરસાદની તીવ્રતા સૌથી વધુ હતી. ભારે વરસાદના કારણે આ નાળામાં પાણીનું સ્તર અને વહણનો પ્રવાહ ભયજનક રીતે વધી ગયો હતો. રાત્રિના અંધારા અને તેજ પ્રવાહ વચ્ચે પુલ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં ઊંડા નાળામાં તણાઈ ગઈ હતી.

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને તપાસ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વહીવટી અધિકારીઓ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ ટીમો દ્વારા ક્રેન અને ગ્રામજનોની મદદથી યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાકોની ભારે મશક્કત બાદ નાળામાંથી કાર અને તેમાં સવાર 8 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેને પોલીસે કાબૂમાં લઈને સ્થિતિ સંભાળી હતી. હાલમાં પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતના ચોક્કસ સંજોગો અને કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.