Kiren Rijiju Indian Flag Insult: અમેરિકાના ન્યૂ યોર્ક સ્થિત પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર ભારતીય રાષ્ટ્રધ્વજ (ત્રિરંગા)નું અપમાન કરવાનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિરોધ કરનારાઓની ભારે ટીકા કરી છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ભારતમાં કે વિદેશમાં RSS, ભાજપ કે સરકારની ટીકા કરવી સ્વીકાર્ય છે, પરંતુ દેશ અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે.
મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર થયો હતો વિરોધ
ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતના 'યુનિવર્સલ યુનિનેસ સેલિબ્રેશન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંબોધન પહેલાં જ કેટલાક પ્રદર્શનકારીઓએ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિરોધનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પ્રદર્શનકારીઓ દ્વારા કથિત રીતે ભારતીય રાષ્ટ્રધ્વજનું અનાદર કરવામાં આવતું જોવા મળ્યું હતું.
વીડિયો પોસ્ટ કરતાં રિજિજુએ લખ્યું, "અમે હંમેશાં કહ્યું છે કે તમે RSS, BJP કે સરકારની ટીકા કરવા માટે સંતોષપૂર્વક સ્વતંત્ર છો, પરંતુ આપણા દેશ માટે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરો. ધ્યાનથી સાંભળી લો... આપણા ધ્વજ કે મારા દેશનું અપમાન સહેજ પણ સહન કરવામાં નહીં આવે. રાષ્ટ્રનું અપમાન કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડશે."
મોહન ભાગવતની ભારતીય પ્રવાસીઓને શિખામણ: "જે દેશમાં રહો છો તેને વફાદાર રહો"
ઉલ્લેખનીય છે કે, RSSના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મોહન ભાગવત અમેરિકા, કેનેડા અને યુકેના પ્રવાસે છે. ન્યૂ યોર્ક ખાતે સ્થાનિક ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે ભારતીય ડાયસ્પોરાને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારત ભલે તમારી જન્મભૂમિ હોય, પરંતુ તમે જે દેશમાં વસો છો અને રોજીરોટી કમાઓ છો તે તમારી કર્મભૂમિ છે. તેથી, તમે જ્યાં રહો છો તે દેશ પ્રત્યે વફાદાર રહેવું અને ત્યાંની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવી એ તમારી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોએ ભારતમાંથી મળેલા સંસ્કારો અને મૂલ્યોનું પાલન કરીને સાચા અમેરિકન તરીકે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.
