Karnataka New CM News: કર્ણાટકના રાજકારણમાં બહુ જલ્દી મોટો ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સંભવિત રીતે મુખ્યમંત્રી પદની કમાન સંભાળશે તેવી અટકળો વચ્ચે સત્તાના વિભાજનનો એક નવો જ ફોર્મ્યુલા સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, નવી સરકારમાં જાતિગત અને પ્રાદેશિક સમીકરણોને સંતુલિત કરવા માટે 4 નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ પદો માટેના સંભવિત ચહેરાઓના નામ પણ નક્કી થઈ ગયા હોવાનું મનાય છે, જેની સત્તાવાર જાહેરાત જ બાકી છે.
રાજકીય ગણિત અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ નવી સરકારમાં દલિત, ઓબીસી (OBC), લિંગાયત અને લઘુમતી સમુદાયોમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરીને તમામ પ્રભાવશાળી જૂથોને સાધવાનો પ્રયાસ કરશે.
ડેપ્યુટી સીએમ પદની રેસમાં આ અગ્રણી નામો મોખરે
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અલગ-અલગ સમુદાયના ક્વોટામાંથી નાયબ મુખ્યમંત્રી પદ માટે આ નામોની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. દલિત ક્વોટામાં વર્તમાન ગૃહમંત્રી જી. પરમેશ્વર અથવા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનું નામ આગળ આવી રહ્યું છે.
ઓબીસી (OBC) ક્વોટામાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાને દાવેદાર માનવામાં આવે છે. લિંગાયત ક્વોટામાં વરિષ્ઠ નેતા એમ.બી. પાટિલ અથવા ઈશ્વર ખાંડ્રે ચર્ચામાં છે, જ્યારે લઘુમતી ક્વોટામાં કે.જે. જ્યોર્જ, યુ.ટી. ખાદર અને ઝમીર અહેમદ ખાનના નામોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી નિવાસે યોજાનારી બ્રેકફાસ્ટ મીટિંગ પર સૌની નજર
નેતૃત્વ પરિવર્તનની આ અફવાઓ વચ્ચે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ગુરુવારે, 28 મેના રોજ બેંગલુરુ સ્થિત સીએમના સત્તાવાર નિવાસસ્થાન 'કાવેરી' ખાતે એક મહત્વપૂર્ણ હાઈ-પ્રોફાઈલ બ્રેકફાસ્ટ મીટિંગ યોજાવાની છે. આ બેઠક પૂર્ણ થયા બાદ બંને નેતાઓ વર્તમાન અસમંજસની સ્થિતિનો અંત લાવવા માટે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.
નોંધનીય છે કે, અગાઉ ડિસેમ્બર 2025 માં પણ શિવકુમારના નિવાસે આવી જ એક 'બ્રેકફાસ્ટ ડિપ્લોમસી' જોવા મળી હતી, જ્યાં સત્તાની વહેંચણીના વિવાદ વચ્ચે હાઈકમાન્ડે પક્ષમાં એકતા હોવાનો સંદેશ આપ્યો હતો. જોકે, આ વખતે સ્થિતિ નિર્ણાયક હોવાનું દેખાઈ રહ્યું છે.
સિદ્ધારમૈયાને કેન્દ્રમાં મોટી જવાબદારીની ઓફર?
મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ડીકે શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો કરવા માટે સિદ્ધારમૈયાને સ્વેચ્છાએ પદ છોડવા જણાવ્યું છે. તેના બદલામાં સિદ્ધારમૈયાને રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવાની ઓફર કરાઈ છે. આ ઉપરાંત, તેમના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાને નાયબ મુખ્યમંત્રી પદ સહિત સરકારના કેટલાક મહત્વના મંત્રાલયોની ફાળવણી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
સિદ્ધારમૈયા સત્તાવાર રીતે પદત્યાગ કરતા પહેલા પોતાના જૂથના મંત્રીઓ અને ધારાસભ્યો માટે એક રાત્રિભોજન બેઠકનું આયોજન કરી શકે છે. આ સમગ્ર સત્તા પરિવર્તનની ઔપચારિક જાહેરાત ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલાની હાજરીમાં થાય તેવી પ્રબળ સંભાવના છે.
બીજી તરફ, હાઈકમાન્ડના સત્તાવાર નિવેદન પહેલા જ ઉત્સાહિત બનેલા શિવકુમારના સમર્થકોએ બેંગલુરુમાં તેમને આગામી મુખ્યમંત્રી તરીકે વધાવતા પોસ્ટરો લગાવી દીધા છે અને સોશિયલ મીડિયા પર અભિનંદનની લહેર શરૂ થઈ ગઈ છે.
