Operation Sindoor, Bhairav Battalions: પાકિસ્તાન વિરુદ્ધ 'ઑપરેશન સિંદૂર' બાદ ભારતીય સેનાને (Indian Army) વધારે મજબૂત બનાવવામાં આવી રહી છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના અન્ય નેતાઓ પણ દુશ્મન દેશને ચેતવણી આપી ચૂક્યા છે કે, આતો માત્ર એક ટ્રેલર હતું. હવે જો કંઈ અટકચાળો કરશો, તો આખું પિક્ચર બતાવીશું, એવામાં આગામી 6 મહિનામાં ભારતીય સેનામાં 20 ભૈરવ બટાલિયન (Bhairav Battalions) તૈયાર કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ઈફ્રેન્ટ્રીના ડાયરેક્ટર જનરલ લેફ્ટિનેન્ટ જનરલ અજયકુમારે જણાવ્યું કે, હાલ 5 ભૈરવ લાઈટ કમાન્ડો પહેલાથી જ ભારતીય સેનામાં તૈનાત છે. જે દેશના અલગ-અલગ ભાગોમાં એક્ટિવ પણ છે. આ પાંચ બટાલિયન સિવાય અન્ય 4 પણ લગભગ તૈયાર છે, જ્યારે અન્ય 16 આગામી 6 મહિનાની અંદર જ એક્ટિવ થઈ જશે.
હકીકતમા ભૈરવ બટાલિયનનું કામ સેનાના પરંપરાગત દળ તેમજ સ્પેશિયલ ફોર્સ વચ્ચેનું અંતર દૂર કરવાનું છે. જે ઘાતક કમાન્ટો બટાલિયન પૈકી એક છે. જેને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તાત્કાલિક ઑપરેશન માટે તૈયાર કરવામાં આવી છે.
એક ભૈરવ બટાલિયનમાં 250 સૈનિક હોય છે. હાલ દેશના અલગ-અલગ ભાગોમાં બટાલિયન તૈનાત છે. જે પૈકી એક ભૈરવ બટાલિયન લેહ, એક શ્રીનગર અને એક નગરોટામાં તૈનાત છે. જ્યારે અન્ય બે બટાલિયન વેસ્ટર્ન અને ઈસ્ટર્ન બોર્ડરના રણ પ્રદેશ તેમજ પર્વતિય પ્રદેશોમાં તૈનાત છે.
વધુમાં અજયકુમારે જણાવ્યું કે, લેહમાં 14 કોર્પ્સ સાથે, શ્રીનગરમાં 15 કોર્પ્સ સાથે અને નગરોટામાં 16 કોર્પ્સ સાથે ભૈરવ બટાલિયન તૈનાત કરવામાં આવી છે. ભૈરવ બટાલિયન સામાન્ય ભૂમિ દળ જેવી સેના નથી, પરંતુ તેમાં એર ડિફેન્સ, તોપ અને સિગ્નલ જેવા આર્મ્સના સૈનિકો પણ સામેલ છે.
ભારતીય સેના પાસે હાલ 380 ઈન્ફેન્ટ્રી યુનિટ છે. જે સંપૂર્ણ ડ્રોન સંચાલનના કામમાં જોતરાઈ જશે. આ પ્લાટૂન પાસે અનેક પ્રકારના ડ્રોન છે. જેને દુશ્મનની દરેક હીલચાલ પર નજર રાખવા, જાણકારી મેળવવા અને હુમલો કરવા જેવા કામ કરાવી શકાય છે.
