Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે નિકટતા જોવા મળી રહી છે. ગયા મહિને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. હવે આદિત્ય ઠાકરેએ પણ ત્રણ વખત દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે. એટલું જ નહિ 'સામના'માં લેખ લખીને ફડણવીસના વખાણ કર્યા હતા. હવે આ સમગ્ર મામલાને લઈને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર તેમની પર કટાક્ષ કર્યો છે.
આટલા જલદી રંગ બદલશે એવું લાગતું ન હતું - શિંદે
શિવસેના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તમામ નેતાઓ એમવીએના સીએમને મળી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસને ફડતુસ કહેનારા લોકો આટલા જલદી રંગ બદલશે એવું લાગતું ન હતું. શિંદેએ કહ્યું કે, કાચંડો પણ રંગ બદલે છે પરંતુ આ પ્રકારની નવી પ્રજાતિ હમણાં જ જોવા મળી, જેને જનતાએ નકારી કાઢી.
એકનાથ શિંદે વધુમાં કહ્યું કે કોઈપણ વ્યક્તિ મુખ્યમંત્રી ફડણવીસને મળી શકે છે. સામાન્ય માણસ હોય કે કોઈ પણ પક્ષનો નેતા હોય, તેને મળી શકે છે. હું પણ ઘણા લોકોને મળતો હતો. હવે મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ છે. કોઈ પણ તેને મળી શકે છે. સારી વાત એ છે કે જે લોકો તેમને જેલમાં ધકેલી દેવાનું કાવતરું કરી રહ્યા હતા તેઓ આટલા જલ્દી સામે આવી ગયા.
બાલા સાહેબના વિચારો સાથે દગો કર્યો - શિંદે
શિવસેના પ્રમુખે વધુમાં કહ્યું કે કેટલાક લોકો મને ગેરબંધારણીય સરકારનો ગેરબંધારણીય મુખ્યમંત્રી કહી રહ્યા હતા. તેમણે હિંદુત્વના વિચારો સાથે દગો કર્યો, બાલા સાહેબના વિચારો સાથે દગો કર્યો પરંતુ જનતાએ તેમને પાઠ ભણાવ્યો. જનતાએ મહાવિકાસ અઘાડી ગઠબંધનને પાઠ ભણાવ્યો છે. વિધાનસભા માત્ર એક ઝાંખી છે, મહાનગરપાલિકા બાકી છે. પિક્ચર હજુ બાકી છે. એમ કહીને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના નિશાન સાધ્યું.
