Monalisa News: મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નને લઈને મોટું અપડેટ, જાણો સુપ્રીમ કોર્ટના વકીલ નાઝિયા ઇલાહે શું કહ્યું

મોનાલિસા ભોસલેના લગ્ન હવે માત્ર અંગત મામલો ન રહેતા બે રાજ્યો અને સામાજિક વિચારધારાઓ વચ્ચેની લડાઈ બની ગયા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 17 Mar 2026 03:46 PM (IST)Updated: Tue, 17 Mar 2026 03:46 PM (IST)
big-update-regarding-mahakumbh-viral-girl-monalisas-marriage-know-what-supreme-court-lawyer-nazia-ilah-said

Monalisa Marriage Update: 2025ના પ્રયાગરાજ મહાકુંભથી સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી મોનાલિસા ભોસલેના લગ્ને હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે. કેરળના તિરુવનંતપુરમમાં એક મંદિરમાં મુસ્લિમ યુવક ફરમાન ખાન સાથે થયેલા આ લગ્નને સુપ્રીમ કોર્ટના વકીલ નાઝિયા ઈલાહી ખાને 'પ્રોપર લવ જેહાદ' ગણાવ્યા છે. આ મામલે તેમણે કેરળ સરકાર અને આતંકવાદી સંગઠનોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

હિન્દુ મેરેજ એક્ટનું ઉલ્લંઘન અને પૂર્વ આયોજિત કાવતરું

નાઝિયા ઈલાહી ખાને મોનાલિસાના લગ્ન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ કોઈ સામાન્ય લગ્ન નથી, પરંતુ સ્પષ્ટપણે લવ જેહાદનો કેસ છે. આમાં હિન્દુ મેરેજ એક્ટ 1955નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને હિન્દુ પરંપરાઓનો દુરુપયોગ થયો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે પતિ ફરમાન ખાને પોતે કબૂલ્યું છે કે તે હજુ પણ મુસ્લિમ છે, છતાં લગ્ન હિન્દુ વિધિથી કરવામાં આવ્યા છે, જે હિન્દુ ધર્મની લાગણી દુભાવવા સમાન ગુનો છે.

આતંકી સંગઠનો અને PFI ફંડિંગનો આક્ષેપ

આ કેસમાં સુરક્ષા એજન્સીઓના ધ્યાન દોરતા વકીલે કહ્યું કે, "જ્યારથી શરજીલ ઈમામ પેરોલ પર બહાર આવ્યો છે, ત્યારથી આવા સંગઠનો સક્રિય થયા છે. મને શંકા છે કે આમાં પ્રતિબંધિત સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) નો મોટો હાથ છે અને આ માટે ફંડિંગ પણ કરવામાં આવ્યું છે." તેમણે કેરળ સરકાર પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે જો સરકાર આવા ગુનાહિત અને કટ્ટરપંથી તત્વોને સમર્થન આપી રહી હોય, તો રાષ્ટ્રપતિએ આ મામલે દખલ કરવી જોઈએ.

શું હતો સમગ્ર મામલો?

મોનાલિસા મહાકુંભ 2025 દરમિયાન રુદ્રાક્ષ વેચતી વખતે વાયરલ થઈ હતી, ત્યારબાદ તેને ફિલ્મોની ઓફર મળી હતી. ત્યારબાદ મોનાલિસા અને ફરમાન ખાન એક ફિલ્મ શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને 11 માર્ચ, 2026ના રોજ કેરળના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. મોનાલિસાના પિતા જય સિંહ ભોસલેએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી સગીર છે (જન્મ 2009) અને તેને બ્રેઈનવોશ કરીને કેરળ લઈ જવામાં આવી છે. તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને પણ પત્ર લખી મદદ માંગી છે.

મોનાલિસા અને ફરમાનનો પક્ષ

બીજી તરફ, મોનાલિસાએ પોલીસ સુરક્ષા હેઠળ મીડિયાને જણાવ્યું હતું કે તે 18 વર્ષની છે અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. તેણે 'લવ જેહાદ'ના આરોપોને નકારી કાઢતા કહ્યું કે કેરળ તેના માટે સુરક્ષિત છે. જોકે, પરિવારનો દાવો છે કે તેના દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી છે.

મોનાલિસા ભોસલેના લગ્ન હવે માત્ર અંગત મામલો ન રહેતા બે રાજ્યો અને સામાજિક વિચારધારાઓ વચ્ચેની લડાઈ બની ગયા છે. નાઝિયા ઈલાહી ખાનના આ ગંભીર નિવેદનો બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ આમાં તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું.