બરગી ક્રુઝ હોનારત: મોતની સવારી! એલર્ટ છતાં ઘોર બેદરકારી, લાઈફ જેકેટ વગર મુસાફરો મોતના મુખમાં ધકેલાયા

હવામાન ચેતવણી છતાં ક્રુઝ ચલાવવામાં આવ્યું હતું અને પ્રવાસીઓને લાઇફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 01 May 2026 09:56 PM (IST)Updated: Fri, 01 May 2026 10:54 PM (IST)
bargi-cruise-disaster-a-death-ride-despite-the-alert-gross-negligence-passengers-without-life-jackets-were-pushed-to-their-deaths

Bargi Cruise Disaster: મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ હવે માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારીના પુરાવાઓ બહાર આવી રહ્યા છે. આ અકસ્માતની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ પ્રવાસન નિગમની ગંભીર બેદરકારી ઉઘાડી પડી છે, જેમાં હવામાન વિભાગની આગોતરી ચેતવણી હોવા છતાં મુસાફરો ભરેલા ક્રુઝને ઊંડા પાણીમાં ઉતારી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, જોખમી મુસાફરી હોવા છતાં સુરક્ષાના પાયાના નિયમોને નેવે મૂકી પ્રવાસીઓને લાઈફ જેકેટ જેવી અનિવાર્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવી નહોતી, જે અંતે અનેક લોકો માટે જળસમાધિનું કારણ બની.

હવામાન વિભાગના એલર્ટની ધરાર અવગણના

તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે હવામાન વિભાગ દ્વારા પ્રી-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ક્રુઝને સહેલગાહ માટે પરવાનગી આપવામાં આવી હતી. સ્ટાફે ટેકનિકલ રિપોર્ટ્સને બદલે માત્ર મોબાઈલની સામાન્ય માહિતી અને પોતાના અંદાજ પર ભરોસો રાખીને 40થી વધુ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા હતા.

naidunia_image

લાઈફ જેકેટ વગર મુસાફરોના જીવન સાથે રમત

નિયમ મુજબ, પાણીમાં મુસાફરી શરૂ કરતા પહેલા દરેક પ્રવાસીને લાઈફ જેકેટ પહેરાવવું અને સુરક્ષા સૂચનાઓ આપવી ફરજિયાત છે. જોકે, વાયરલ વિડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ક્રુઝમાં લાઈફ જેકેટ હતા, પરંતુ તે પ્રવાસીઓને આપવામાં આવ્યા નહોતા. જે ગણ્યા-ગાંઠ્યા લોકોએ જાતે જેકેટ પહેર્યા હતા, માત્ર તેઓ જ પોતાનો જીવ બચાવી શક્યા હતા.

naidunia_image

43 મુસાફરો વચ્ચે માત્ર 2 કર્મચારી

સુરક્ષાના સ્ટાન્ડર્ડસ મુજબ દર 10-15 પ્રવાસીએ એક લાઈફ સેવર હોવો જોઈએ. પરંતુ આ ક્રુઝ પર કેપ્ટન સિવાય માત્ર એક જ કર્મચારી હાજર હતો. આટલી મોટી સંખ્યામાં મુસાફરો સામે માત્ર બે કર્મચારીઓ કટોકટીના સમયે બચાવ કામગીરી કરવા માટે સાવ અક્ષમ હતા.

બવન્ડર સામે 20 વર્ષ જૂનું ક્રુઝ લાચાર બન્યું

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની હતી. આ ક્રુઝ મહત્તમ 30 કિમીની ગતિ સહન કરવાની ક્ષમતા ધરાવતું હતું. જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 20 વર્ષ જૂનું આ ક્રુઝ મોજાં અને પવનના દબાણ સામે ટકી શક્યું નહીં અને ઊંધું વળી ગયું.

naidunia_image

બિનઅધિકૃત મુસાફરોની આશંકા: સીસીટીવીમાં મોટો ખુલાસો

મેકલ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું છે કે ક્રુઝ પર 43 પ્રવાસીઓ સવાર હતા. શંકા સેવાઈ રહી છે કે કેટલાક લોકો ટિકિટ લીધા વગર જ ક્રુઝ પર ચઢી ગયા હતા, જેના કારણે ક્રુઝના વજનનું સંતુલન પણ જોખમાયું હોઈ શકે છે.

naidunia_image

મુસાફરોની વેદના: "અમે કરગરી રહ્યા હતા પણ કેપ્ટન ન માન્યો"

બચી ગયેલા મુસાફરોએ રડતા રડતા જણાવ્યું કે, જ્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને પવન શરૂ થયો, ત્યારે અમે કેપ્ટનને કરગરીને વિનંતી કરી હતી કે ક્રુઝ પાછું વાળી લો. પરંતુ કેપ્ટને પ્રવાસીઓની વાત સાંભળવાને બદલે ક્રુઝને મોજાંની વચ્ચે ધકેલી દીધું હતું.

naidunia_image