Mahashivratri 2025: આજે શિવરાત્રી નિમિત્તે રાજ્યના દરેક શિવ મંદિરોમાં અનુષ્ઠાન તેમજ ચારપ્રહરની પૂજા કરવામાં આવી રહી છે. જેમાં સિદ્ધપુર એક માત્ર એક એવું શહેર છે જ્યાં 108થી વધુ નાના-મોટા શિવાલયો આવેલા છે. જેમાં 5 શિવાલયો તો એવા છે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ 5 સ્વયંભૂ શિવલિંગનો ઉલ્લેખ શિવપુરાણમાં કરવામાં આવેલો છે. સિદ્ધપુર ધામના નદીના કિનારે 5 સ્વયંભૂ મહાદેવ જેમાં બ્રહ્માંડેશ્વર, વાલ્કેશ્વર, અરવડેશ્વર, સિદ્ધનાથ અને ભૂતનાથ મહાદેવ આવેલા છે. સિદ્ધપુર શહેરમાં માતૃતિર્થ હોવાથી 108 દેવી-દેવતાઓના મંદિરોનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુરને માતૃતિર્થ ધામની સાથે શિવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધપુર શહેરમાં દરેક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. ગુજરાતમાં વસતા દરેક પરિવારજનોએ જીવનમાં એકવાર સિદ્ધપુરની યાત્રા કરવી પડતી હોય છે. સિદ્ધપુરમાં દર 150 મીટરે એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
મહાદેવજીના 108 નામવાળા શહેરમાં શિવાલય
સિદ્ધપુર શહેર પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ વિભાગમાં સૌથી વધારે મંદિરોનું નિર્માણ કરવામાં આવેલું છે. છેલ્લા 200 વર્ષથી વધુના સમય પહેલાં શિવાલયોનું નિર્માણ કરવામાં આવેલું છે. સોલંકીકાળ દરમિયાન રાજા સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું હતું. નદીના તટ પર માતૃતર્પણ કર્ય પણ કરવામાં આવે છે. મહાદેવજીના 108 નામ ઉપર સિદ્ધપુર શહેરના શિવાલયોનું નામ રાખવામાં આવેલું છે.
અંતિમ 100 વર્ષથી 5 સ્વ્યંભૂ મહાદેવ નગરયાત્રાએ શાહી સવારીમાં નીકળે છે
અંતિમ 100 વર્ષ પહેલાંથી શિવરાત્રીના દિવસે વહેલી સવારે 10 વાગ્યે શહેરના પાંચ સ્વ્યંભૂ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવે છે. આ નગરયાત્રામાં 300થી વધારે શાહી ઘોડા પણ ભાગ લે છે. નગરયાત્રા પૂર્ણ કરતા 6 કલાક જેટલો સમય લાગે છે.
સિદ્ધપુરના પ્રવેશ દ્વારમાં મહાદેવના 12 મંદિર
શહેરના પ્રવેશદ્વારમાં જ એક સાથે 12 શિવાલયો વાળા મંદિરો છે. જેમાં સ્વ્યંભૂ સિદ્ધેશ્વર, અમરનાથ, ભૂખ્યા, મંગળનાથ, કાશી વિશ્વનાથ, હરિહરેશ્વર, પાતાળેશ્વર, સોમનાથ, કાર્તિકેશ્વર અને કુબેર ભંડારી મહાદેવ આવેલા છે.
