એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક, 3 EKKA: અમદાવાદના ખાડિયામાં આવેલી હવેલીની પોળના એક હેરિટેજ ઘરમાં યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર (Malhar Thakar) સ્ટાર ગુજરાતી ફિલ્મ ત્રણ એક્કાનું શૂટિંગ ચાલી રહ્યું છે. આજે સવારે ફિલ્મના મુહૂર્ત શોટનું શૂટિંગ કરાયું હતું. ત્યારે ગુજરાતી જાગરણની ટીમે ફિલ્મના ડિરેક્ટર રાજેશ શર્મા, પ્રોડ્યુસર વૈશલ શાહ, લેખક ચેતન દૈયા અને પાર્થ ત્રિવેદી, તથા એક્ટર યશ સોની અને મિત્ર ગઢવી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
મહત્ત્વનું છે કે, આ ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની કસોટીઓ અને મુશ્કેલીઓની વાત કરે છે જેઓ આર્થિક સંકટમાં ફસાયેલા છે અને મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવવાની તેઓની અણસમજુ યોજના જે ઘણી બધી દુર્ઘટનાઓમાં પરિણામે છે જેનાથી હાસ્ય સર્જાય છે.
રાજેશ શર્માએ જણાવ્યું કે, 'આ ફિલ્મમાં ત્રણ ભાઈબંધોની વાત છે. રિઅલ લાઇફમાં ભાઈબંધ કેવા હોય, જે ભેરુડા પણ હોય અને વેરીડા પણ હોય. ત્રણેય ભાઈબંધો કેવી રીતે ફસાય છે અને તેમાંથી બહાર નીકળે છે. આમ એકબીજાને ફસાવવાના અને બચાવી લેવાના આ હાર્દ ભાઈબંધીમાં રહેલો છે. આ દરમિયાન રમૂજ સર્જાય છે. જેમાં અમુક સિચુએશનની મજા છે.'
વધુમાં રાજેશ શર્માએ કહ્યું, 'આ ત્રણેયના એક સ્ક્રિન પર આખી ફ્રેમ બીજા લેવલે પહોંચી જાય છે. આ ફિલ્મમાં અમદાવાદની વાર્તા છે એટલે અમદાવાદ સારી રીતે બતાવવામાં આવશે. અમદાવાદમાં જ 38 દિવસ સુધી શૂટિંગ થશે. જેમા અમદાવાદની પોળ, રિવરફ્રન્ટ અને કાફેમાં લોકેશન હશે. આ ફિલ્મ જોરદાર ધમાલ મચાવશે.'
એક્ટર યશ સોનીએ કહ્યું કે, 'હું, મલ્હાર અને મિત્ર ત્રણેય ખૂબ જ એક્સાઇટેડ છીએ. અમે લોકો મોજ કરવાના છીએ. અત્યારસુધી અમારો એક્સપિરિયન્સ રહ્યો છે કે, અમે ફિલ્મમાં જ્યારે જ્યારે મજા કરી છે ત્યારે લોકોને ફિલ્મ જોવાની ખૂબ જ જોવામાં આવી છે. એ પછી છેલ્લો દિવસ હોય કે શું થયું? હોય કે, પછી હવે ત્રણ એક્કા.'
એક્ટર મિત્ર ગઢવીએ કહ્યું કે, 'આ ફિલ્મની સ્ટોરી અમદાવાદના ત્રણ ફ્રેન્ડ અને તેના ફેમિલીની છે. આ પહેલાંની ફિલ્મોમાં તમે જે કેમેસ્ટ્રી જોઈ છે. એ આ ત્રણ એક્કા ફિલ્મમાં જોવા મળશે. અમે આ ફિલ્મમાં મજા કરીશું એટલે આશા છે કે, ઓડિયન્સને પણ મજા આવશે.'
ફિલ્મના રાઇટર અને એક્ટર ચેતન દૈયાએ કહ્યું કે, 'આ ફિલ્મની તૈયારી અમે છેલ્લાં અઢી વર્ષથી કરતાં હતાં. કોરોનાકાળ પહેલાં શૂટ કરવું હતું, પણ આજે ફિલ્મનું શ્રીગણેશ થયું છે. ફિલ્મમાં હું કલાકાર અને લેખક તરીકે ભાગ છું તેનો આનંદ છે.'
આ ફિલ્મની સ્ટોરી અંગે વાત કરતાં ચેતન દૈયાએ જણાવ્યું કે, 'મારા જ ફ્રેન્ડનો ક્યાંક ફસાયા હોય અને અડધી રાતે ફોન આવ્યો હોય અને જે બચાવવા માટે અમે ગયા હોઈએ અને ફસાયા હોય એ વિચાર પરથી સ્ટોરી લખી છે.'
પ્રોડ્યુસર વૈશલ શાહે જણાવ્યું કે, 'ફિલ્મ છેલ્લો દિવસ અને શું થયું? પછી આ ફિલ્મ બનાવી રહ્યા છીએ ત્યારે એનર્જી અને એક્સાઇટમેન્ટ અદભૂત છે. ચેતન દૈયા અને પાર્થ ત્રિવેદીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર અઢી વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી છે. એ લોકોએ 25-30 ડ્રાફ્ટ રિવાઇઝ કર્યા હતા આ પછી સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ અને આજથી તેનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મ રોલરકોસ્ટર રાઇડ છે. અમે હ્યુમરસ વેમાં સોસાયટીમાં એક મેસેજ આ ફિલ્મ દ્વારા આપીશું.'
આ ફિલ્મના રાઇટર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું કે, 'અમારા જીવનપ્રસંગોમાંથી ગૂંથાયેલી વાર્તા છે. એટલે દરેક લોકો રિલેટ પણ થશે કે, આવા પ્રસંગો પણ થાય છે. લોકો કેવી રીતે ફ્રેન્ડના લીધે ફસાતા હોય છે. આમ આખી નેચરલ વાત છે. દરેકની લાઇફમાં આ ફિલ્મમાં બતાવવામાં આવેલાં છે એવા ફ્રેન્ડ્સ હશે જ. આ ફિલ્મ માટે અમારું વિઝન ક્લિયર હતું. અમે નેરેશન આપીએ ત્યારે પ્રોડ્યુસર એવું કહે કે, આવું નહીં આવું કરોને યાર. પણ આ ખૂબ મજાની પ્રોસેસ હતી.'
