ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન: ત્રિપક્ષીય ‘મક્કા સંરક્ષણ કરાર’ અંગે આપી સફાઈ, કહ્યું– ‘આ કરાર કોઈ દેશ વિરુદ્ધ નથી’

ઈશાક ડારે 'X' પર વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ કરાર ત્રણ રાષ્ટ્રો વચ્ચે વર્ષોથી ચાલતા સંવાદ અને સહયોગનું પરિણામ છે. કરારની સૌથી મહત્વની શરત એ છે કે ત્રણમાંથી કોઈપણ એક દેશ પર થતો બાહ્ય સશસ્ત્ર હુમલો અન્ય બે દેશો પરનો પણ હુમલો ગણવામાં આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 10 Aug 2026 07:47 AM (IST)Updated: Mon, 10 Aug 2026 07:47 AM (IST)
pakistan-saudi-turkey-makkah-joint-defense-pact-clarification-ishaq-dar
મક્કા સંરક્ષણ કરાર

Pakistan Saudi Turkey Defense Deal: સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ત્રિપક્ષીય 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' (Makkah Joint Defense Pact) કર્યા બાદ વધતા વૈશ્વિક આશંકાઓ વચ્ચે પાકિસ્તાને પોતાની સફાઈ રજૂ કરી છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે સ્પષ્ટતા કરી છે કે આ કરાર સંપૂર્ણપણે આત્મરક્ષણ અને પ્રાદેશિક શાંતિ માટે છે, તેનો હેતુ કોઈ ચોક્કસ દેશને લક્ષ્ય બનાવવાનો નથી.

શું છે મક્કા સંરક્ષણ કરાર અને ડારનો દાવો?

ઈશાક ડારે 'X' પર વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ કરાર ત્રણ રાષ્ટ્રો વચ્ચે વર્ષોથી ચાલતા સંવાદ અને સહયોગનું પરિણામ છે. કરારની સૌથી મહત્વની શરત એ છે કે ત્રણમાંથી કોઈપણ એક દેશ પર થતો બાહ્ય સશસ્ત્ર હુમલો અન્ય બે દેશો પરનો પણ હુમલો ગણવામાં આવશે. આ જોગવાઈ સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટરની કલમ 51 હેઠળ સામૂહિક આત્મરક્ષણના અધિકારને અનુરૂપ છે. ડારે ઉમેર્યું કે આ કરાર પ્રદેશના અન્ય એવા દેશો માટે પણ ખુલ્લો છે જે તેના સિદ્ધાંતો સ્વીકારવા તૈયાર છે.

વૈશ્વિક ચિંતા અને પાકિસ્તાનની ભૂમિકા

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી અને તેના પરમાણુ સમૃદ્ધ હોવાના કારણે આ કરારે વૈશ્વિક સ્તરે ચિંતા જગાડી છે. રાજકીય વિશ્લેષકોના મતે:

  • આતંકવાદ અને સરહદી સુરક્ષા: પાકિસ્તાન પર ભારત અને અફઘાનિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાના સતત આક્ષેપો રહ્યા છે.
  • ઇસ્લામિક દેશો પર પ્રભાવ: ઇસ્લામિક રાષ્ટ્રોમાં પાકિસ્તાન એકમાત્ર પરમાણુ સત્તા ધરાવતો દેશ હોવાથી તે અન્ય દેશોને પ્રભાવિત કરીને પ્રદેશમાં અસ્થિરતા સર્જી શકે છે.
  • ઇઝરાયલ અંગે વલણ: પાકિસ્તાન ઇઝરાયલને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકારવાનો પણ ઇનકાર કરે છે.

 

તુર્કીએ કહ્યું: ‘આ કરાર ઈરાન સામે નથી’

બીજી તરફ, તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાને સ્પષ્ટ કર્યું છે કે આ કરાર ઈરાનનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો નથી. સાઉદી અરેબિયા પર હુતી બળવાખોરોના હુમલા અંગે બોલતા તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા આ સ્થિતિ માટે ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને તેનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ હિંસા રોકવાનો છે. સાઉદી અરેબિયા ઈરાન સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે અને તેનું ઉદાહરણ તાજેતરમાં તેહરાનમાં યોજાયેલી શોકસભામાં સાઉદી પ્રતિનિધિમંડળની હાજરીથી મળે છે.