Pakistan Smart Lockdown: પાકિસ્તાનમાં આજ રાતથી લોકડાઉન, ઈરાન સંઘર્ષની ગંભીર અસર; PM શહેબાઝ શરીફની મોટી જાહેરાત

Pakistan Announces Smart Lockdown: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર હવે પાકિસ્તાનના અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 07 Apr 2026 03:07 PM (IST)Updated: Tue, 07 Apr 2026 03:08 PM (IST)
pakistan-imposes-early-market-timings-amid-energy-shortage-shehbaz-sharif-announces-smart-lockdown

Pakistan Announces Smart Lockdown: મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર હવે પાકિસ્તાનના અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે. ઈંધણના વધતા ભાવ અને ઊર્જાની ભારે અછતને પહોંચી વળવા વડાપ્રધાન શહેબાઝ શરીફની સરકારે દેશભરમાં બજારો અને વ્યાપારી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે. આજ રાતથી પાકિસ્તાનમાં એક પ્રકારે 'રાત્રી લોકડાઉન' જેવી સ્થિતિ અમલી બનશે.

બજારો અને મોલ માટે નવા સમયપત્રક

વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવાયેલા નિર્ણય મુજબ, સિંધ પ્રાંત સિવાય સમગ્ર દેશમાં (પંજાબ, બલુચિસ્તાન, કેપી, ઈસ્લામાબાદ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન) તમામ શોપિંગ મોલ અને બજારો રાત્રે 8:00 વાગ્યા સુધીમાં ફરજિયાત બંધ કરી દેવાના રહેશે.

  • ખાદ્ય સામગ્રી: બેકરી, રેસ્ટોરાં, તંદૂર અને ખાદ્ય ચીજવસ્તુઓની દુકાનો રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.
  • લગ્ન સમારોહ: લગ્ન હોલ અને માર્કીઝમાં કાર્યક્રમો રાત્રે 10:00 વાગ્યા સુધી જ યોજી શકાશે. ખાનગી નિવાસસ્થાનો પર પણ રાત્રે 10:00 પછી લગ્ન સમારોહ યોજવા પર પ્રતિબંધ રહેશે.
  • મુક્તિ: મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીઓને આ સમય મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ અને મોંઘવારીનું સંકટ

પીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુદ્ધને કારણે વિશ્વના કુલ તેલ પુરવઠાનો 25% હિસ્સો જે માર્ગે પસાર થાય છે તે 'હોર્મુઝ સ્ટ્રેટ' પ્રભાવિત થયો છે. આના કારણે ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પાકિસ્તાન સરકાર આ ખર્ચ ઘટાડવા અને વીજળી બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહી છે.

જાહેર પરિવહન અને પ્રાદેશિક સ્થિતિ

સરકારે જનતાને રાહત આપવા માટે ગિલગિટ અને મુઝફ્ફરાબાદમાં આંતર-શહેર જાહેર પરિવહન સેવા 1 મહિના માટે મફત કરવાની જાહેરાત કરી છે, જેનો તમામ ખર્ચ ફેડરલ સરકાર ઉઠાવશે. બીજી તરફ, સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે વેપારી સંગઠનો સાથે બેઠક યોજી છે. સિંધમાં બજારના સમય અંગેના સૂચનો ટૂંક સમયમાં વડાપ્રધાનને સોંપવામાં આવશે.

નિષ્ણાતોના મતે, પાકિસ્તાન હાલમાં આર્થિક રીતે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને જો ઊર્જાની બચત કરવામાં નહીં આવે તો દેશમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ નવા નિયમો 7 એપ્રિલ, મંગળવારથી જ કડક રીતે અમલી બનાવવામાં આવશે.