Pakistan: ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી દોષિત, ઇમરાનને 14 અને બુશરાને 7 વર્ષની જેલ

અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં કોર્ટે પાક ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. જ્યારે તેની પત્ની બુશરા બીબીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 17 Jan 2025 02:57 PM (IST)Updated: Fri, 17 Jan 2025 02:57 PM (IST)
former-pakistan-pm-imran-khan-and-wife-bushra-bibi-found-guilty-in-corruption-case
HIGHLIGHTS
  • આ મામલો અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી સાથે સંબંધિત છે
  • ઈમરાન ખાનને 10 લાખનો દંડ
  • બુશરા બીબીને 5 લાખનો દંડ

Pakistan: પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેની પત્ની બુશરા બીબીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઈમરાન ખાન પર 10 લાખ અને તેની પત્નીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો બંને દંડ ભરવામાં અસમર્થ હોય તો પૂર્વ વડાપ્રધાને છ મહિનાની વધારાની સજા અને બુશરાને ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે.

ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ અલ-કાદિર ટ્રસ્ટમાં લગભગ 50 અબજ પાકિસ્તાની રૂપિયાના ભ્રષ્ટાચારના કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી NABની અરજીની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો. કોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રોસીક્યુટર જનરલ સરદાર મુઝફ્ફર અબ્બાસીના નેતૃત્વમાં નેશનલ એકાઉન્ટબીલીટી બ્યુરોની ટીમ હાજર હતી. આ સિવાય ઈમરાન ખાનની પત્ની બુશરા બીબર, પીટીઆઈના બેરિસ્ટર ગૌહર ખાન, શોએબ શાહીન, સલમાન અકરમ રાજા અને અન્ય વકીલો જેલમાં હાજર હતા.

ઇસ્લામાબાદની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ 18 ડિસેમ્બરે જ આ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી. તેઓ આ મામલે ત્રણ વખત નિર્ણય સ્થગિત કરી ચૂક્યા છે. ચુકાદો જાહેર થતાં જ પોલીસે બુશરા બીબીને કસ્ટડીમાં લઈ લીધી હતી. ચુકાદામાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે બુશરા બીબી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલી હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. ન્યાયાધીશે અધિકારીઓને અલ-કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટીને સરકારને સોંપવાનો નિર્દેશ આપ્યો. નિર્ણય બાદ અદિયાલા જેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઈમરાન ખાને કહ્યું કે, આ નિર્ણયથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. આ બાબતમાં ન તો મને ફાયદો થયો અને ન તો સરકારને નુકસાન થયું છે. મને કોઈ રાહત નથી જોઈતી અને તમામ બાબતોનો સામનો કરીશ. તેમણે કહ્યું કે એક સરમુખત્યાર આ બધું કરી રહ્યો છે.

શું છે અલ કાદિર ટ્રસ્ટ કેસ?

આ મામલો અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે પોતાની પત્ની બુશરા બીબી અને કેટલાક અન્ય પીટીઆઈ નેતાઓ સાથે મળીને અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટની રચના કરી હતી. તેનો ઉદ્દેશ્ય પંજાબના સોહાવા જિલ્લાના જેલમમાં 'ગુણવત્તાયુક્ત શિક્ષણ' પ્રદાન કરવા માટે 'અલ-કાદિર યુનિવર્સિટી' ની સ્થાપના કરવાનો હતો. ટ્રસ્ટના કાર્યાલયનું સરનામું "બની ગાલા હાઉસ, ઇસ્લામાબાદ" તરીકે ઉલ્લેખિત છે.

આરોપ છે કે ઈમરાન અને તેની પત્નીએ આ યુનિવર્સિટી માટે રહેણાંક સંકુલની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરી હતી. આ માટે બંનેએ પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ મલિક રિયાઝને ધમકી પણ આપી હતી. ઈમરાનની પત્ની બુશરા બીબીએ પાંચ કેરેટની હીરાની વીંટી માંગી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ સિવાય પૂર્વ વડાપ્રધાન, તેમની પત્ની બુશરા બીબી અને અન્ય પીટીઆઈ નેતાઓ પર પણ રાષ્ટ્રીય તિજોરીને લગભગ 50 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.