BRICS Summit Dinner Menu Controversy: બ્રિક્સ શિખર સંમેલનમાં વિદેશી નેતાઓ માટે આયોજિત ગાલા ડિનરના સંપૂર્ણ શાકાહારી મેનૂને લઈને રાજકીય ચર્ચા ગરમાઈ છે. આ દરમિયાન આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફુર રગનાર ગ્રિમ્સને સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ઘટના શેર કરીને જણાવ્યું કે વર્ષ 2005માં જ્યારે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ તેમના દેશની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમના સન્માનમાં પણ સંપૂર્ણ શાકાહારી ભોજન જ પીરસવામાં આવ્યું હતું.
20 વર્ષ જૂની ઘટના આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિએ વાગોળી
આ પણ વાંચો
બ્રિક્સ શિખર સંમેલનમાં ભારત દ્વારા વિદેશી મહેમાનો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં પીરસાયેલા સંપૂર્ણ શાકાહારી મેનૂને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચા વચ્ચે આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફુર રગનાર ગ્રિમ્સને વર્ષ 2005ની એક ઘટના યાદ કરાવી છે.
ગ્રિમ્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ કોઈ નોર્ડિક દેશની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમના સન્માનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં પણ સંપૂર્ણ શાકાહારી મેનૂ રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે તે સમયે આઈસલેન્ડ જેવા દેશમાં શાકાહારી ભોજન તૈયાર કરવું સહેલું નહોતું, છતાં ભારતીય મહેમાનની પસંદગી અને પરંપરાનો સન્માન કરવામાં આવ્યો હતો.
બ્રિક્સ ડિનરમાં પીરસાઈ ભારતીય વાનગીઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં બ્રિક્સ દેશોના નેતાઓ માટે વિશેષ રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ ડિનરનું મેનૂ ભારતીય શાકાહારી વાનગીઓ પર આધારિત હતું. મહેમાનોને ખાંડવી, પનીર લબાબદાર, ગુચ્છી માર્મિક, મિલેટ પુલાવ, મશરૂમ ગલાવટી અને જલેબી જેવી પરંપરાગત તેમજ આધુનિક ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. ભારતની વિવિધ ખાદ્ય સંસ્કૃતિ અને સ્થાનિક અનાજને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો પ્રયાસ આ મેનૂમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને મિલેટ આધારિત વાનગીઓએ પણ ધ્યાન ખેંચ્યું હતું.
કોંગ્રેસે ભોજન મુદ્દે ભાજપ પર કર્યા પ્રહારો
ડિનરના સંપૂર્ણ શાકાહારી મેનૂને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ભારતની મોટી વસ્તી માસાહારી છે અને દેશનું નોન-વેજ ભોજન પણ તેની સાંસ્કૃતિક ઓળખનો મહત્વનો ભાગ છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર વિદેશી મહેમાનો સમક્ષ ભારતની ખાણી-પીણીની સંપૂર્ણ વિવિધતા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે અને એક ખાસ પ્રકારની પસંદગીને પ્રાથમિકતા આપી રહી છે.
ભાજપનો પલટવાર: 'ભોજન પર પણ રાજકારણ રમી રહી છે કોંગ્રેસ'
કોંગ્રેસના આ આરોપો સામે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કડક પલટવાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિદેશી મહેમાનોએ ભારતીય શાકાહારી વાનગીઓનો ખૂબ જ આનંદ માણ્યો હતો. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે કોંગ્રેસ પાર્ટી હવે વિદેશી નેતાઓને પીરસાયેલા ભોજનના મેનૂ પર પણ રાજકારણ રમી રહી છે.
