Bangladesh Elections: બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ શુક્રવારે દેશની આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે 51 મુદ્દાઓ ધરાવતો વિસ્તૃત મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાર્ટીના વડા તારિક રહેમાને એક પત્રકાર પરિષદમાં આ મેનિફેસ્ટો રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો તે ભારત સહિતના તમામ પડોશી દેશો સાથે સમાનતા અને પરસ્પર આદરના ધોરણે સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે.
‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ અને ભારત સાથેના સંબંધો
BNP એ તેના મેનિફેસ્ટોમાં "બાંગ્લાદેશ ફર્સ્ટ" ની વિચારધારાને કેન્દ્રમાં રાખી છે. જોકે મેનિફેસ્ટોના દસ્તાવેજમાં કોઈ દેશનું નામ સીધું લેવાનું ટાળવામાં આવ્યું છે, પરંતુ ભારત સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પાર્ટીએ વચન આપ્યું છે કે તેઓ ગંગા (પદ્મ), તિસ્તા અને અન્ય સરહદ પારની નદીઓના પાણીની વહેંચણીમાં બાંગ્લાદેશ માટે 'વાજબી હિસ્સો' મેળવવા સક્રિય પ્રયાસો કરશે.
સરહદ પરની હિંસા અને ઘૂસણખોરી પર કડક વલણ
ભારત-બાંગ્લાદેશ સરહદ પર થતી હત્યાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રેશન (ઘૂસણખોરી) જેવી સંવેદનશીલ બાબતો પર પણ BNP એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મેનિફેસ્ટોમાં જણાવાયું છે કે સરહદ પર હત્યાઓ રોકવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને આર્થિક સમૃદ્ધિ વધારવા માટે બાંગ્લાદેશ મજબૂત ભૂમિકા ભજવશે.
લઘુમતીઓના કલ્યાણ માટે વિશેષ જોગવાઈ
બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ માટે BNP એ વિશેષ ભંડોળ વધારવાની જાહેરાત કરી છે. તારિક રહેમાને ભારપૂર્વક જણાવ્યું હતું કે લઘુમતીઓના હકોનું રક્ષણ કરવું એ તેમની પ્રાથમિકતા રહેશે. આ પગલાને ભારત સાથેના સંબંધોમાં વિશ્વાસ ઉભો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાજ્ય સુધારણા માટે ત્રિસ્તરીય યોજના
મેનિફેસ્ટોમાં સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના ૧૯-પોઇન્ટ પ્રોગ્રામ, ખાલિદા ઝિયાના 'વિઝન ૨૦૩૦' અને તારિક રહેમાનની ૩૧-પોઇન્ટની રાજ્ય સુધારણા યોજનાને અમલમાં મૂકવાની ખાતરી આપવામાં આવી છે. પાર્ટીનો ઉદ્દેશ્ય સાર્વભૌમત્વ જાળવી રાખીને દેશની આર્થિક ગતિશીલતા વધારવાનો છે. બાંગ્લાદેશની આ ચૂંટણીઓ પર ભારત સહિત સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે દક્ષિણ એશિયાની સ્થિરતા માટે બાંગ્લાદેશમાં લોકશાહી ઢબે સત્તાવાર સરકારની સ્થાપના થવી અત્યંત અનિવાર્ય છે.
