Khalida Zia funeral: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને મંગળવારે ઢાકામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ખાલિદા ઝિયા ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન રહી ચૂક્યા હતા અને તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર દોડી ગઈ છે.
પતિની કબર પાસે થશે દફનવિધિ
ખાલિદા ઝિયાના પાર્થિવ દેહને તેમના પતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર્રહમાનની કબરની બાજુમાં દફનાવવામાં આવશે. બુધવારે ઝોહરની નમાજ બાદ સંસદના સાઉથ પ્લાઝા અને તેની નજીક આવેલા માનિક મિયાં એવન્યુમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. આ નિર્ણય યુનુસ સરકારની સલાહકાર પરિષદની વિશેષ બેઠકમાં લેવામાં આવ્યો હતો અને તેમની અંતિમ યાત્રા ઢાકાના શેર-એ-બાંગ્લા નગર સ્થિત ઝિયા ઉદ્યાનમાં રાજકીય સન્માન સાથે કાઢવામાં આવશે.
વિદેશમંત્રી એસ જયશંકર હાજરી આપશે
ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ભારત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ઢાકાની મુલાકાત લેશે. આ ઉપરાંત પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડાર સહિત અનેક વિદેશી નેતાઓ પણ આ જનાજામાં સામેલ થશે.
બાંગ્લાદેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક
ખાલિદા ઝિયાના નિધન પર અંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ સાથે જ નમાજ-એ-જનાજાના દિવસે એક દિવસની જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે. અવિભાજિત ભારતમાં જન્મેલા ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા અને તેમનો રાજકીય સફર ઘણો પ્રભાવશાળી રહ્યો હતો.
