Veraval News: કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમાએ એક મોટો ખુલાસો કરીને તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે.
અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું બોલુ તેની ઘણી નોંધ લેવાય છે. લોકો કાન લગાવીને સાંભળતા હશે કે આજે શું કહેવાના છે. આજે શું નવું છે. આજે નવું એ છેકે સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં અભય ચૂડાસમા રાજકારણમાં આવશે, રાજીનામું આપશે. નિવૃત્તિ પછી આ કરશે તેવી વાત થઇ હતી. પરંતુ આજે જણાવું છું કે અભય ચૂડાસમા ક્યારેય નહીં જાય. નિવૃત્તિ પછી માત્ર સમાજની શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાય કોઇ કામ કરવાના નથી.
બધા જીઆરસીઓમાં ફરશું. બધાને શું સગવડો જોઇએ છે, ક્યાં શું ઘટે છે એ કરીશું. ગામે ગામ ફરી વિદ્યાર્થીઓને ઓળખીશું તેમને બહાર લાવીશું. એક ટીમ બનાવીશું. આમ પણ રાજકારણ એ મારુ ક્ષેત્ર નથી અને એવો મારો સ્વભાવ પણ નથી. એટલે એ પ્રશ્ન જે તે સમયે અસ્થાને હતો. આજે હું આ મંચ ઉપરથી આજે આ નવું કહું છું. જે બધા સાંભળતા હશે અને નોંધ લેશે.
ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અભયસિંહ ચુડાસમાની જાહેરાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ઘણા લોકો માનતા હતા કે તેઓ રાજકારણમાં આવશે, પરંતુ તેમણે સમાજ સેવાનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું.
