ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ટોબરા ગામમાં સાત સિંહોની પજવણી કરાતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. ગઈ 22 ઓગસ્ટની રાત્રે 1.45 વાગ્યે કેટલાક ઈસમો દ્વારા સિંહની પાછળ એક કાર દોડાવી હતી. જેના લીધે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે . બહારથી ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે આવતા લોકો દ્વારા સિંહની પજવણી કરાતી હોવાનો આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
સિંહોની પજવણી કરતાં ગ્રામજનોમાં રોષ
મળતી માહિતી મુજબ, સૂત્રાપાડાના ટોબરા ગામમાં ગઈ કાલે 22 ઓગસ્ટની રાત્રે સાત જેટલા સિંહો ગામની ગલીઓમાં પ્રવેશ્યા હતા. ત્યારે 7 સિંહોના ટોળા પાછળ કોઈ અજાણ્યા લોકોએ કાર દોડાવી મૂકી હતી ભયભીત થયેલા સિંહો કારની આગળ દોડી રહ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે, ગ્રામજનોના જણાવ્યા મુજબ, સિંહોથી તેમને કોઈ વાંધો નથી. પરંતુ બહારથી સિંહ દર્શન કરવા આવતા લોકો દ્વારા સિંહોની પજવણી કરાતા તેઓ આક્રમક બની જતાં હોય છે.
CCTVના આધારે લેવાશે કડક પગલાં
ઘટના અંગે આરએફઓ યોગેશ કલસરિયાના જણાવ્યા મુજબ, ટોબારા ગામમાં સિંહોની પજવણી થયાની ફરિયાદ વન વિભાગને કરવામાં આવી છે સિંહોની પજવણીને રોકવા માટે વન વિભાગ દ્વારા સ્ટાફને સઘન રાઉન્ડ અને ખાસ વોચ રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમજ સીસીટીવીના આધારે આરોપીઓ વિરુદ્ધ પગલાં લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
