Gir Somnath News: કોડીનારના દુદાણા ગામનો ચૌહાણ પરિવાર આજે દેશ સેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. વર્ષ 2022માં એકનો એક પુત્ર ભારતીય એરફોર્સમાં શહીદ થતા પરિવાર સંતાન વિહોણો બની ગયો હતો. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે ફરી આ પરિવારમાં કિલકારીઓ ગુંજી ઉઠી છે. IVF ટેકનોલોજીથી 49 વર્ષના કંચનબેન પ્રતાપભાઈ ચૌહાણે ટ્વીન્સ પુત્રને જન્મ આપ્યો છે. 2022માં એક પુત્ર દેશ સેવામાં શહીદ થયા બાદ દેશભક્તિના રંગે રંગાયેલા પિતાએ જન્મ લીધેલા બે પુત્ર પૈકી એક પુત્રને ફરીથી સેનામાં મોકલવાની ખુમારી સાથે તૈયારી દર્શાવી છે.
વર્ષ 2022માં પ્રતાપભાઈ અને કંચનબેનનો એકમાત્ર સંતાન નીરવસિંહ એરફોર્સમાં શહીદ થતા પરિવાર પર વજ્રઘાત થયો હતો. ત્યારબાદ કોડીનારની આર.એન વાળા હોસ્પિટલમાં મહિલા તબીબ તરીકે કામ કરતા ડૉ. શ્વેતા વાળાએ 50 વર્ષના કંચનબેન ચૌહાણને IVF ટેકનોલોજી થકી ગર્ભ ધારણ કરાવીને બે પુત્ર રત્નનો જન્મ થયો, પ્રજાસત્તાક પર્વના દિવસે જ ફરી માતા-પિતા બનનાર ચૌહાણ દંપતિએ જન્મેલા એક પુત્રને ફરી દેશ સેવા માટે ભારતીય સેનામાં મોકલવાનું દ્રષ્ટાંત ખુમારી સાથે પૂરું પાડયું છે. કોડીનાર શહેરના અગ્રણીઓ પણ એવું કહે છે કે, ભારત માતાએ એક પુત્ર લઈ લીધો તો આજે 26 જાન્યુઆરીએ જ બે પુત્રોની ભેટ આપી દીધી હતી.
