Valsad Accident: ગુજરાતના હાઈવે અને મુખ્ય માર્ગો પર અવારનવાર ઘણા ગંભીર અકસ્માતો સર્જાય છે. જેમાં ખાસ કરીને હાઈવે પર પૂરપાટ ઝડપથી આવતા વાહનોની અડફેટે આવવાથી ઘણા લોકોના અકાળે મોત થઈ જતાં હોય છે. ત્યારે વલસાડ જિલ્લામાંથી ગુરુવારે મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે સંજાણ-ભીલાડ માર્ગ પર સ્વીફ્ટ કારનો કરુણ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાઈ
મળતી માહિતી મુજબ, ઉમરગામ નજીક સંજાણ-ભીલાડ રોડ પર એક સ્વીફ્ટ પૂરપાટ ઝડપથી જઈ રહી હતી. આ કારમાં સવાર પાંચ જેટલા યુવકો વાપીથી ઉમરગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે ચાલકે કાર પરથી પોતાનો કાબૂ ગુમાવી દેતાં કાર ભયાનક રીતે એક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથે ભયાનક રીતે કારને ગંભીર નુકસાન થયું હતું.
કારમાં સવાર 3 યુવકોના મોત નિપજ્યા
ગંભીર અકસ્માતને પગલે સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં પાચ યુવકો પૈકી 3 યુવકોનું મોત નિપજ્યું હતું.આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગે કારમાંથી યુવકોના મૃતદેહ અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે વલસાડની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પોલીસે કાર્યવાહી શરુ કરી
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, કારમાં મરણ જનારા ત્રણેય યુવકો યુપીના રહેવાસી હતી. જ્યારે એક યુવક ઉમરગામનો હોવાનું ખુલ્યુ હતું. હાલ પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પીએમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
