Maharaja Sayajirao University Of Baroda: વડોદરા (Vadodara)ની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓનો વિવાદ ચાલી રહ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવે તેવી માગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સાથેજ એ.એસ.યુ અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા ફેકલ્ટી ડીનને હટાવવાની માગ કરવામાં આવી રહી છે.
એએસયુ તથા યુવાશક્તિ ગ્રુપ દ્વારા યુનિવર્સિટીની હેહ ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે, એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બીએના ત્રીજા અંતિમ સેમેસ્ટરની પરીક્ષા 7 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે. પરંતુ વિવિધ સમસ્યાઓના કારણે અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા અયોગ્ય જાહેર થયા છે અને 800 વિદ્યાર્થીઓજ પરીક્ષામાં બેસવા માટે લાયક થયા છે. ત્યારે 7 જાન્યુઆરીથી શરૂ થતી આ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવે.
વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છેકે, ફેકલ્ટીમાં પોતાની જોહુકમી અને તાનાશાહી ચલાવતા ફેકલ્ટી ડીન આર કે સક્સેનાને ડીન પદેથી હટાવવામાં આવે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું છેકે, ઓનલાઇન ફીની ચૂકવણી કરવાની હોય છે, ત્યારે ફી પોર્ટલનું વિકલ્પ ન આવતું હોવાથી 400 વિદ્યાર્થીઓ ફી ભરવાથી વંચિત રહ્યાં હતા. જે યુનિવર્સિટી સત્તાધીશોની ભૂલ છે. જેથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવી જોઇએ. વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટી સત્તાધીશો સામે લડી લેવાના મૂડમાં છે અને જો વિદ્યાર્થીઓની માગ યુનિવર્સિટીના સત્તાધીશો સ્વીકારશે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થીઓ ઉચ્ચારી રહ્યાં છે.
