PM Modi Birthday Celebration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વડોદરામાં એક અદ્દભૂત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો.
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાં એકસાથે 8 લાખથી પણ વધુ દીવડાઓ પ્રગટાવીને ભવ્ય 'દીપોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે વડોદરા વાસીઓએ એકત્રિત થઈને પીએમ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ઈશ્વર સમક્ષ દિલથી પ્રાર્થના કરી હતી.
આ ભવ્ય આયોજન અંતર્ગત સુચારુ વ્યવસ્થા સાથે વડોદરા શહેરમાં 3.75 લાખ અને ગ્રામ્ય તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 4.52 લાખ દીવડાઓ એકસાથે પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાંજ પડતાં જ સંસ્કારી નગરીનો ખૂણે-ખૂણો અને તમામ માર્ગો દીવડાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો ઉત્સાહ અને રોશનીનો માહોલ સર્જાયો હતો.
આ આખા ઉજવણી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડોદરાનું ઐતિહાસિક સૂરસાગર તળાવ બન્યું હતું. તળાવની મધ્યમાં બિરાજમાન ભગવાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં 71 હજાર દીવડાઓ એકસાથે પ્રગટાવવામાં આવ્યા હતા.
તળાવના પાળ પર ઝળહળતા આ દીવડાઓના દિવ્ય પ્રકાશ અને પાણીમાં પડતા તેના પડછાયાથી સૂરસાગરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.
દીપ પ્રગટાવવાની સાથે જ સૂરસાગર ખાતે 71 હજાર દીવડાઓ વડે ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શંખનાદ, ઢોલ-નગારા અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદ સાથે યોજાયેલી આ મહાઆરતીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ સ્થળો, સોસાયટીઓ અને સામાજિક સંસ્થાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં આ આયોજન માત્ર એક જન્મદિનની ઉજવણી ન રહેતા એક યાદગાર લોકોત્સવ બની રહ્યું હતું.
