Vadodara News:પાદરાના લુણામાં આવેલી આશીષ ઓર્ગેનિક કંપનીમાં પ્રચંડ રિએક્ટર બ્લાસ્ટ;ઈમારતનો ભાગ ધરાશાયી,4 કામદારો ઈજાગ્રસ્ત

પાદરાના લુણા ગામમાં આવેલી આશીષ ઓર્ગેનિક કંપનીમાં રિએક્ટર ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં ચાર કામદારો ઈજાગ્રસ્ત થયા. આ ઘટનામાં કંપનીની ઇમારતને વ્યાપક નુકસાન થયું છે અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે, પોલીસે તપાસ શરૂ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 05:55 PM (IST)Updated: Mon, 10 Aug 2026 05:55 PM (IST)
massive-reactor-blast-at-ashish-organic-company-in-luna-padra-part-of-building-collapses-4-workers-injured

Vadodara News:વડોદરા જિલ્લાના પાદરા તાલુકા અંતર્ગત આવતા લુણા ગામની સીમમાં આવેલી આશીષ ઓર્ગેનિક કંપનીમાં ગતરોજ એક મોટો અકસ્માત સર્જાયો હતો.કંપનીની અંદર આવેલા એસ.એસ. કોપર રિએક્ટરમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક રિએક્ટર પ્રચંડ અવાજ સાથે ફાટ્યું હતું. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કંપનીના અંદરના તેમજ બહારના ભાગમાં વ્યાપક નુકસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસરથી કંપનીની મજબૂત દીવાલો અને ઓફિસના કાચ તૂટીને ચૂર-ચૂર થઈ ગયા હતા. માત્ર કાચ જ નહીં, પરંતુ કંપનીની મુખ્ય ઈમારતનો એક મોટો ભાગ પણ પ્રચંડ ધડાકાને કારણે ધરાશાયી થઈ ગયો હતો. વિસ્ફોટ બાદ કંપની પરિસરમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. કામદારો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા.

આ ગંભીર દુર્ઘટનામાં કંપનીમાં ફરજ બજાવી રહેલા કામદારોને ઈજાઓ પહોંચી હતી. વિસ્ફોટ સમયે ઉડેલા કાચના ટુકડા વાગવાથી અને રિએક્ટરમાંથી છૂટેલી ગરમ સ્ટીમ ઉડવાથી ત્રણ જેટલા કામદારો દાઝી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત, ભાગદોડ અને ધડાકાના આંચકાને કારણે અન્ય એક વ્યક્તિ નીચે પટકાતા તેના હાથની કોણીમાં ગંભીર ઈજા પહોંચી હતી. સદનસીબે, કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. ઈજાગ્રસ્ત તમામ કામદારોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

રિએક્ટર બ્લાસ્ટની આ ઘટનાને કારણે કંપનીને ભૌતિક અને આર્થિક નુકસાન પણ મોટું વેઠવું પડ્યું છે. વિસ્ફોટ અને ત્યારબાદ થયેલા નુકસાનના કારણે કંપનીમાં રાખવામાં આવેલો કાચો માલ તેમજ વેચાણ માટે તૈયાર થયેલો તૈયાર માલ મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. કેમિકલ પ્રક્રિયાઓ દરમિયાન સુરક્ષાના ધોરણો અને સાવચેતીના પગલાંઓ અંગે હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું અને કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ, તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈને સેફ્ટી ઓડિટ અને ટેકનિકલ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.