ભરૂચ.
તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈએ મૃતક આકાશને આત્મહત્યા કરવા દુષ્ટ પ્રેરણા આપી હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે પહોંચેલા આકાશના દાદા ભુલાભાઈની ફરિયાદ પોલીસ દ્વારા ના લેવામાં આવતા લોકોએ આક્રોશ સાથે પોલીસ મથક ઘેરી લીધું હતું અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત BTPના હોદ્દેદારો અને કાર્યકરોએ પોલીસ મથકે જ બેસી આંદોલન શરૂ કરી હોબાળો મચાવ્યો હતો. લોકોનો આક્રોશ પારખી ગયેલ પોલીસે આખરે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત ચાર લોકો સામે દુષ્ટ પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો.
ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામ પાસે ઓરિસ્સા પોલીસની બસને આંતરી તેના ડ્રાઇવર તથા કંડકટરને લૂંટી 32,500 રૂપિયાનો મુદ્દામાલ તથા રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. જેના સંદર્ભમાં બસ ચાલકે પાંચ વિરુદ્ધ ઉમલ્લાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પાંચમાં રાયસીંગપુરા ગામના ગુલાબભાઈ વસાવાનો છોકરો આકાશ વસાવા પણ હતો અને ઉમલ્લા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગતરોજ 6:30 વાગ્યાના અરસામાં આકાશ તેના દાદા ભુલાભાઈ પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આપણા ગામના નગીન વસાવા, સના વસાવા વાસુદેવ, સવાભાઈ વસાવા અને ગણેશ બચુ વસાવા તથા પ્રકાશ દેસાઈનાઓએ માર મારવાની ધમકી આપ્યાના આક્ષેપ કર્યા હતા અને લક્ઝરીવાળા ઝઘડામાં મારૂં ખોટું નામ દાખલ કરેલ છે અને પોલીસવાળા સાદા ડ્રેસમાં આવી ધમકી આપી મારી પાસે પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. જેથી ભુલાભાઈએ આકાશને જણાવેલ કે આપણે હિંમત હારીને ખોટા પગલાં ભરવાનું નથી તેમ સમજાવેલ, ત્યારબાદ આકાશની તેમના ગામના નગીન માધીયા વસાવા સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ આકાશ ઘરેથી કામ છે તેમ કહી જતો રહ્યો હતો.
રાત્રીના 8 વાગ્યા સુધી આકાશ ઘરે પરત ન આવતા તેના દાદા ભુલાભાઈને લાગેલ કે નગીન વસાવા, સના વસાવા વાસુદેવ, વસાવા ગણેશ, સવાભાઈ વસાવા તથા પ્રકાશ દેસાઈના માનસિક દબાણના કારણે ઘરે આવેલ નહીં ત્યારે ભુલાભાઈએ તેમના પરિવારજનોને આકાશ સાથે તેમના ગામના ઈસમો સાથે થયેલ ઘટના બાબતે જણાવેલ રાત્રીના આકાશ ઘરે નહીં આવતા ભુલાભાઈ તથા તેમના પરિવાર આકાશને શોધવા ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં નીકળ્યા હતા અને રાત્રીના 8:15 વાગ્યાના અરસામાં ખાડી કિનારે આવેલ કોઠીના ઝાડ ઉપર આકાશ કમરના પટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવેલ અને તેણે પેન્ટ નીચેના ઉતરી જાય તે માટે કમરમાં રૂમાલ બાંધેલ હતો અને મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો.
આકાશના દાદા ભુલાભાઈને તથા તેમના પરિવારજનોને તેમના પૌત્ર આકાશને તેમના ગામના નગીન વસાવા, સના વસાવા, વાસુદેવ વસાવા અને ગણેશ વસાવા તથા પ્રકાશ દેસાઈનાઓના માનસિક દબાણના કારણે આપઘાત કરેલ હોય તેમ લાગતા તથા બીજા માણસોના બીકના કારણે આ પગલું ભર્યું હોય તેમ લાગ્યું હતું અને તેમને પોલીસને બનાવ બાબતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને તેને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
મરણ જનાર આકાશના દાદા ભુલાભાઈ ગોવિંદભાઈ વસાવાએ તેમના પૌત્ર આકાશે તેમના ગામના પાંચ જેટલા ઈસમોના માનસિક દબાણ તથા તેને માર મારવાની ધમકી આપી જેથી આકાશે આત્મહત્યા સુધીનું દુષ્પ્રેરણ કર્યું હોય તેવી ફરિયાદ ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તાલુકા પંચાયત ઉપપ્રમુખ સહિત ચાર લોકો સામે દુષ્ટ પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.
