Vadodara: હાલોલ શહેરના પાવાગઢ રોડ પર હોટલ ગીતા ભવન સામે મુખ્ય રોડ પર આજરોજ સાંજે સુમારે ઘોઘંબા તરફથી આવતો એક છકડો રીક્ષા કોઈક કારણોસર પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.છકડામાં સવાર વડોદરાના વીઆઈપી વિસ્તારમાં આવેલ રેવડીયા મહાદેવ મંદિર પાસે રહેતા 6 થી 7 મહિલા પૈકીના 57 વર્ષીય લીલાબેન અમરતભાઈ રાવળ છકડાની નીચે દબાઈ જતા મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલાને પણ કમરના ભાગે ઈજા થઈ હતી. જ્યારે અન્ય મહિલાઓનો અકસ્માતના આ બનાવમાં આબાદ બચાવ થયો હતો
છકડામાં સવાર 6 થી 7 મહિલાઓ પોતાના ફળિયામાં રહેતા પોતાના જૂના પાડોશીના બેસણામાં ગુંદી ગામે ગયા હતા. જે બાદ બેસણું પતાવી ગુંદી ગામેથી સાંજના સમયે વડોદરા તરફ આવવા માટે નીકળ્યા હતા. ગુંદી ગામે લાંબો સમય સુધી બસની રાહ જોયા બાદ બસ ન મળતાં આખરે એક છકડામાં બેસી આ તમામ મહિલાઓ હાલોલ તરફ આવી રહી હતી. તે દરમિયાન પાવાગઢ રોડ પર હોટલ ગીતા ભવન પાસે કોઈ કારણોસર છકડાના ડ્રાઈવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો બેકાબુ થઈ મુખ્ય રોડ પર પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં લીલાબેન રાવળનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
