GSFC યુનિવર્સિટીમાં 8મો પદવીદાન સમારોહ યોજાયો;815 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત; 17માંથી 12 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા

GSFC યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ વડોદરામાં યોજાયો, જેમાં 815 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી. મુખ્ય અતિથિ ડૉ. વીકે સારસ્વતની ઉપસ્થિતિમાં 17 ગોલ્ડ મેડલમાંથી 12 વિદ્યાર્થીનીઓએ જીત્યા, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 29 Aug 2026 07:38 PM (IST)Updated: Sat, 29 Aug 2026 07:38 PM (IST)
8th-convocation-ceremony-held-at-gsfc-university-815-students-awarded-degrees-12-out-of-17-gold-medals-were-won-by-female-students

8th convocation ceremony:GSFC યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ 29 ઓગસ્ટ, 2026ના રોજ વડોદરાના ફર્ટિલાઇઝરનગર ખાતે યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ અને સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના કુલ 815 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.


પદ્મ ભૂષણ ડૉ. વીકે સારસ્વત, DRDOના પૂર્વ ડિરેક્ટર જનરલ અને નીતિ આયોગના પૂર્વ સભ્ય, સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે 17 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 15 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ શાનદાર શૈક્ષણિક પ્રદર્શન કર્યું હતું અને 17માંથી 12 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. વિદ્યાર્થીઓને પદવીઓ GSFC યુનિવર્સિટીના પ્રમુખ પીકે તનેજા, IAS (નિવૃત્ત) દ્વારા એનાયત કરવામાં આવી હતી.


સમારોહમાં GSFC યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્યો, સરકારી અધિકારીઓ, GSFC લિમિટેડ અને GSFC યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષક અને બિન-શિક્ષક સ્ટાફ, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર જી આર સિંહાએ યુનિવર્સિટી રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં તેમણે શૈક્ષણિક વિકાસ, વિવિધ સિદ્ધિઓ, સંશોધન પ્રવૃત્તિઓ, ઉદ્યોગો સાથેના જોડાણ, વિદ્યાર્થી વિકાસ અને શૈક્ષણિક વર્ષ દરમિયાન થયેલી અન્ય મહત્વપૂર્ણ પ્રગતિ અંગે માહિતી આપી હતી.
GSFC યુનિવર્સિટીના પ્રમુખ પી કે તનેજા, IAS (નિવૃત્ત)એ તમામ 815 પદવીધારક વિદ્યાર્થીઓ, 17 ગોલ્ડ અને 15 સિલ્વર મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો અને માર્ગદર્શકોના સહયોગની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પદવીદાન સમારોહ વર્ષોની મહેનતના અંતનું પ્રતીક છે, પરંતુ સાથે સાથે નવી તકો અને જવાબદારીઓથી ભરેલી નવી સફરની શરૂઆત પણ છે.


GSFC યુનિવર્સિટીની છેલ્લા 11 વર્ષ દરમિયાન થયેલી પ્રગતિ અંગે વાત કરતાં તનેજાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી બે શૈક્ષણિક કાર્યક્રમોથી શરૂ થઈને આજે 26 કાર્યક્રમો સાથે 3,400થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી મલ્ટિડિસિપ્લિનરી સંસ્થા બની છે. તેમણે યુનિવર્સિટીના ત્રણ વ્યૂહાત્મક સ્તંભો, Industry-Aligned, Technology-Driven અને Future-Ready પર ભાર મૂક્યો હતો. આ સાથે મજબૂત ઉદ્યોગ જોડાણ, પ્રેક્ટિકલ લર્નિંગ, સંશોધન અને નવીનતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે B.Tech Chemical Engineering, B.Tech Fire & EHS અને M.Sc Chemistryમાં 100% પ્લેસમેન્ટની સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભવિષ્યમાં શિક્ષણ, સંશોધન અને વિદ્યાર્થી વિકાસની ગુણવત્તા વધુ મજબૂત બનાવવી યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સતત ભવિષ્ય માટે તૈયાર રહેવા અને GSFC યુનિવર્સિટીના ગૌરવપૂર્ણ એમ્બેસેડર બનવા માટે પ્રેરણા આપી હતી.
પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે પદવીધારક વિદ્યાર્થીઓ, મેડલ વિજેતાઓ, તેમના વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. GSFC યુનિવર્સિટીની પ્રગતિ અને પ્રેક્ટિકલ લર્નિંગ તથા ઉદ્યોગ સાથેના જોડાણની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજી, નવીનતા અને આત્મનિર્ભરતા દ્વારા ભારતને વિકસિત ભારત @ 2047 તરફ આગળ વધારવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે યુનિવર્સિટીની સંશોધન પ્રવૃત્તિઓ, ઉદ્યોગલક્ષી શિક્ષણ અને વિશેષ સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી.