Surendranagar: સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ ચોરીના અનેક વખત આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે આજે થાનગઢના વેલાળા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં 4 શ્રમિકો દટાયા હતા. જે પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેલાળા ગામે આવેલી કોલસાની 120 ફૂટ ખાણમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ મજૂરો સુરંગનું ખોદકામ કરી રહ્યાં હતા. આ દરમિયાન એકબાજુનો ભાગ અચાનક ધસી પડતાં 4 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા.
જેમાં મધ્ય પ્રદેશના નરેશ નામના 16 વર્ષીય સગીર શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય બે લોકોને ગંભીર હાલતમાં વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત વધારે નાજુક જણાતા તેમને રાજકોટ રિફર કરવાામં આવ્યા છે.
