Surat: શિવ રેસિડન્સીના રહીશો માટે રાહતના સમાચાર, ઘર છોડવા મજબૂર બનેલા 400 પરિવારો પોતાના ફ્લેટમાં પરત ફરી શકશે

શિવ રેસિડેન્સીની બાજુમાં કન્સ્ટ્રક્શન દરમિયાન પ્રોટેક્શન વૉલ અને પાર્કિંગ શેડ ધરાશાયી થતાં 4 ટાવર ખાલી કરાવ્યા. જેમાં રહેતા 400 પરિવારો પોતાના સબંધીઓના ઘરે આશરો લેવા મજબૂર બન્યા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 19 Dec 2025 07:02 PM (IST)Updated: Fri 19 Dec 2025 07:02 PM (IST)
surat-news-shiv-residency-400-families-will-be-able-to-return-to-their-flats-658371
HIGHLIGHTS
  • સુરત વહીવટી તંત્ર દ્વારા પ્રોટક્શન વૉલ બનાવવાની યુદ્ધના ધોરણે કામગીરી
  • મનપાના 3 વરિષ્ઠ ઈજનેરોને સાઈટ પર સતત દેખરેખ માટે ગોઠવવામાં આવ્યા

Surat: શહેરના ભીમરાડ–અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ઘર છોડવા મજબૂર બનેલા પરિવારો હવે ફરીથી પોતાના ઘરમાં પરત ફરી શકશે. શનિવાર સવારથી તમામ પરિવારોએ પોતાના ફ્લેટમાં પ્રવેશ કરી શકે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરતના ભીમરાડ–અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીની બાજુમાં નિર્માણાધીન પ્રોજેક્ટમાં કરવામાં આવેલા ઊંડા ખોદકામના કારણે પ્રોટેક્શન વોલ તેમજ પાર્કિંગ શેડ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર તાત્કાલિક ચાર ટાવરો ખાલી કરાવવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં અંદાજે 400 પરિવારો અચાનક બેઘર બન્યા હતા. લોકોને પોતાનું ઘર છોડીને હોટલોમાં કે સગાસંબંધીઓ પાસે આશરો લેવો પડ્યો હતો.

પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. રાતદિવસ ચાલેલી કામગીરીમાં સુરત મહાનગરપાલિકાની મશીનરીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે મનપાના ત્રણ વરિષ્ઠ ઇજનેરોને સ્થળ પર સતત દેખરેખ માટે તૈનાત રાખવામાં આવ્યા હતા.

માટીના પુરાણ બાદ મજબૂત કોંક્રિટની સુરક્ષા દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. સમગ્ર કામગીરીનું ટેકનિકલ નિરીક્ષણ SVNITના નિષ્ણાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પોતે દર બે કલાકે કામગીરીની પ્રગતિ અંગે અહેવાલ મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.