Surat Suicide Case: સુરતમાં એક પરિણીતા અને યુવકે ઝેરી દવા પી લીધી હોવાની કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું મોત નિપજયું હતું. યુવક અને પરીણિતાએ કેમ આપઘાત કર્યું તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાના પતિએ કોઈ વ્યક્તિએ ફોન કર્યો
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના વરાછા લાભેશ્વર ભવન પાસે રહેતી 28 વર્ષીય પરિણીતા સાફ સફાઈનું કામ કરે છે. ગતરોજ સવારે તે વરાછા વિસ્તારમાં સફાઈ કામ માટે ગઈ હતી અને બપોર સુધી ઘરે નહી આવતા પતિએ ફોન કર્યો હતો. ત્યારે કોઈ અન્ય વ્યક્તિએ ફોન ઉચક્યો હતો.
યુવક અને પરીણિતાએ ઝેરી દવા પીધી
સામે ફોનવાળી વ્યક્તિએ પતિને જાણ કરી હતી કે, મહિલા અને એક યુવકે વરીયાવ બ્રિજ નીચે તાપી નદીના કિનારે સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક ઝેરી દવા પીધેલી હાલતમાં પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ પતિ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ બંનેને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ પરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉ.40) તરીકે થઈ હતી.
આપઘાત કર્યાનું કારણ હાલ સામે આવ્યું નથી
બીજી તરફ મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું પણ મોત નીપજ્યું હતું. તેમજ પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. યુવક અને પરિણીતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હાલ સામે આવ્યું નથી, આ સમગ્ર મામલે હાલ સિંગણપોર પોલીસ તપાસ કરી રહી છે.
