Surat Ganesh Pandal 2026: હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને સુરતમાં અલગ અલગ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે સુરતમાં થોડા સમય પહેલા પડેલા અતિભારે વરસાદના કારણે પોદાર આર્કેડમાં પાણી ભરાઈ ગયું હતું.
એવામાં આબેહુબ આ થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. દેશમાં ક્યાંય આવી દુર્ઘટના ન બને તે માટે વિઘ્નહર્તા ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરવાના ઉદ્દેશથી આ થીમ ઊભી કરવામાં આવી છે.
સુરતમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અલગ અલગ થીમ પર તૈયાર થયેલા પંડાલો આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે સુરતમાં આવી જ એક થીમ પર તૈયાર થયેલો પંડાલ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કઠોદરા સ્થિત શુકનવેલી રેસિડેન્સી ખાતે શુકનવેલી યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે પોદાર આર્કેડની થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં 80 ફૂટ લાંબા ભવ્ય ગણેશ પંડાલમાં સુરતના જાણીતા 'પોદ્દાર આર્કેડ'ની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે,
થોડા સમય અગાઉ સુરતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને પોદાર આર્કેડમાં પાણી ભરાઈ ગયા હતા અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું, ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને શુકનવેલી યુવા ગ્રુપ દ્વારા આ થીમ તૈયાર કરવામાં આવી છે.
આયોજકોના જણાવ્યા મુજબ આ થીમ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે સુરત નહી આખા ભારતમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે બાપાના ચરણોમાં પ્રાર્થના કરવા અને જનજાગૃતિનો મેસેજ ફેલાવવા આ થીમ તૈયાર કરી છે.
પંડાલમાં એ દર્શાવવામાં આવ્યું છે કે, પોદાર આર્કેડમાં કેવી રીતે ધસમસતા પાણી અંદર પ્રવેશ્યા હતા અને કઈ રીતે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તારાજીના આ દ્રશ્યને આબેહૂબ પ્રતિકૃતિ દ્વારા જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે.
સાંજના સમયે જ્યારે લાઈટિંગ અને પાણીનો પ્રવાહ ચાલુ થાય છે, ત્યારે આબેહૂબ પોદ્દાર આર્કેડમાં પાણી ભરાયા હોય તેવો વાસ્તવિક નજારો જોવા મળે છે. આ અનોખા પંડાલને જોવા માટે સુરત શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે.
ચેતન વઘાસિયાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગંભીરા બ્રીજની દુર્ઘટના થઇ હતી તે બ્રિજની થીમ બનાવી હતી જે ખૂબ વાયરલ થઇ હતી, અનેક લોકો દર્શન માટે આવ્યા હતા. આ વર્ષે સુરતમાં અતિ ભારે વરસાદ થયો અને પોદાર આર્કેડમાં જે પાણી ભરાયું હતું અને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું, એ થીમ અમારી સોસાયટીમાં બનાવી છે.
આબેહુબ પોદાર આર્કેડ બનાવામાં આવ્યું છે, સતત એક મહિનાથી 100 લોકોની ટીમ મહેનત કરી રહી હતી અને રાત દિવસ એક કરીને આ થીમ બનાવી છે, જયારે આ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે બનાવવું થોડું અઘરું હતું પણ અમે કામ કરતા ગયા હતા અને આખરે સફળતા મળી હતી.
આ થીમ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે, સુરત નહી આખા ભારતમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે બાપાના ચરણોમાં પ્રાર્થના કરવા અને જનજાગૃતિનો મેસેજ ફેલાવવા આ થીમ તૈયાર કરી છે.
