Surat News: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રના ભાવી વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે 'સ્વ વસતી ગણતરી - 2027'ની પ્રક્રિયાને સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા 'સ્વ-ગણતરી' અભિયાન અંતર્ગત, સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે અભિયાનના બીજા દિવસે જ પોતાના કાર્યાલય ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે એડિશનલ સિટી સેન્સસ ઓફિસર રાકેશ મોદી સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદે સ્વગણતરી કરીને લોકોને પહેલ કરી
આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, દેશવ્યાપી ડિજિટલ ‘સ્વ-ગણતરી અભિયાન’ અંતર્ગત તા.17 થી 31 મે-2026 દરમિયાન નાગરિકો માટે ‘સ્વ-ગણના’ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ આધુનિક પહેલ દ્વારા નાગરિકોને પોતાના ઘરે બેઠા જ ઓનલાઈન માધ્યમથી પરિવારની સાચી અને સંપૂર્ણ માહિતી નોંધવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા અપીલ
વસ્તી ગણતરીના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અસરકારક આયોજન અને લોકકલ્યાણકારી યોજનાઓ ઘડવાનું કાર્ય કરે છે. તેથી દરેક નાગરિકોએ આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સાચી માહિતી પૂરી પાડી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.
નાગરિકોને OTP કે ગુપ્ત માહિતી શેર ન કરવા અનુરોધ
સાંસદએ વધુમાં કહ્યું કે, વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત થતી તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. તેથી કોઈપણ પ્રકારની ગેરસમજ રાખ્યા વિના વસ્તી ગણતરી માટે આવતા અધિકારીઓને પરિવારની વિગતો સચોટ રીતે આપવી જરૂરી છે. સાથે જ તેમણે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતા OTP અથવા અન્ય ગુપ્ત માહિતી કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી. આ મહત્વપૂર્ણ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકનો સહકાર અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.
