Surat News: વાંસદા તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 22 વર્ષીય યુવક સગીરાના પ્રેમમાં પાગલ બન્યો હતો અને તે સગીરાના ઘરે જ્વલનશીલ પ્રવાહી લઈને પહોંચી ગયો હતો.સગીરાના પિતાને લગ્નની વાત કરી હતી. જોકે સગીરના પિતાએ ના પાડતા પ્રેમી સગીરના ઘર સામે જ સળગી ગયો હતો. જેને બચાવવા જતાં સગીરાના પિતા ગંભીર રીતે દાઝ્યા હતા અને તેમનું પણ મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વાંસદા તાલુકાના સિંગાડ ગામ ખાતે એક 22 વર્ષીય યુવક રિતેશ પટેલ સગીરાના પ્રેમમાં પડ્યો હતો. શરૂઆતમાં એક બીજા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. બોલ-ચાલના સંબંધ હતાં. દરમિયાન યુવક સગીરાના ઘરે પહોંચી ગયો હતો. સગીરાના પિતાને લગ્ન કરાવી દેવાની વાત કરી હતી પરંતુ દીકરી અભ્યાસ કરતી હોય અને ઉંમર નાની હોય હમણાં લગ્નની સગીરાના પિતાએ ના કહી હતી.
સગીરાના પિતાએ લગ્નની ના પાડતાં રિતેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગી ગયો હતો. રિતેશને આ પગલું ભરતા જોઇ સગીરાના પિતા ગભરાઈ ગયા હતા અને તેને બચાવવા માટે દોડ્યા હતા. જોકે ગંભીર રીતે રિતેશ દાઝી જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેને બચાવવા જતાં સગીરાના પિતા પણ ગંભીર રીતે દાઝ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સગીરાના પિતાની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સગીરાના પિતાનું મોત નીપજ્યું હતું. પિતાનું મોત થતાં સગીરા અને તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. સગીરાના માતા કંઇ બોલી શકે એવી અવસ્થા ન હતા. બનાવ અંગે સગીરાને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, આ યુવક ઘરે આવ્યો હતો અને તે સળગ્યો હતો. આ જોઇને પપ્પા તેને બચાવવા દોડ્યા હતા. જેમાં પપ્પા પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.તેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે.
