Ashirwad No Deevdo: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણના ઉપલક્ષમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત સુરત મહાનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી કિનારે નાવડી ઓવારા ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં તાપી માતાના ભક્તો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 10 હજાર જેટલા દીપ પ્રગટાવી ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં ઉજવણી કરવામા આવી હતી.
આરતી પૂર્વે સુરતવાસીઓએ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમી કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લીધો હતો. જે બાદ સુરતની શંખ ધ્વનિ ગ્રુપ સંસ્થા દ્વારા શંખનાદ કરવામાં આવ્યો હતો. શંખનાદ બાદ બ્રાહ્મણો દ્વારા તાપી માતાની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને શહેરીજનો જોડાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સુરતના સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય અરવિંદ રાણા, ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સુરતના પ્રથમ મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેન અશોકભાઈ, કાયદા સમિતિના ચેરમેન મોહિની રાણા, શહેર વિકાસ સમિતિના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનરશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન તાપી માતાના કિનારે દીપ પ્રાગટ્ય, શંખનાદ, આરતી અને ગરબાની રમઝટ સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની ઉજવણી કરી હતી.
