Guru Purnima celebrations in Virpur: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, દેશ-વિદેશમાંથી હજારો ભક્તો જલારામબાપાના દર્શન અને ગુરુ ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા
વીરપુરમાં જલારામ બાપાના દર્શન માટે ભક્તો ઉમટ્યા
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું પૂજ્ય સંત શ્રી જલારામબાપાની જગ્યાએ ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ગુરુપૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત્ત પૂજન જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું.

બાપાના દર્શન કરવા દૂર દૂરથી ઉમટ્યા ભાવિકો
સુરત, બારડોલી, નવસારી, અમદાવાદ, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોએ જલારામબાપાના ચરણોમાં મસ્તક નમાવી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ વર્ષે ગુરુપૂર્ણિમા અને ગુરુવારનો શુભ સંયોગ હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

જલારામ બાપાના દર્શન કરી ભક્તો ધન્ય થયા
જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહેશે અને યાત્રાધામ વીરપુર"જય જલારામ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

