રાજકોટ.
રાજકોટ જિલ્લાના વિંછીયામાં અંધશ્રદ્ધાના કારણે નોંધારા બનેલા બન્ને બાળકોની જવાબદારી રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ તેમના પુત્રી ભાવનાબેન બાવળિયાએ ઉઠાવી છે.
વિંછીયામાં અંધશ્રદ્ધા કમળ પૂજા કરવા માથા હોમી દેવાની ઘટનામાં મૃતકોના બાળકો અનાથ બન્યા હતા. આ નોંધારા બનેલા બાળકો મમતા (ઉં.વ 15) અને હરેશ (ઉં.વ.12)ની વ્હારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને તેમના દીકરી ભાવનાબેન બાવળિયા આવ્યાં છે. જેમણે આ બન્ને બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવવાની સાથે તેમને દત્તક લેવાની જાહેરા કરી છે.
વિંછીયાના આ બનાવમાં માતા-પિતાને મદદરૂપ થવા એક વર્ષ પહેલા પુત્રી મમતાએ અભ્યાસ છોડી દીધો હતો. જ્યારે પુત્ર હરેશ હાલ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બાબત અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા તેમના દીકરી ભાવનાબેન બાવળિયાને ધ્યાને આવતા તેમણે બન્ને બાળકોની જવાબદારી ઉઠાવી છે.
તેમણે જણાવ્યું કે, હરેશને જ્યાં સુધી અમરાપુર ખાતે અભ્યાસ કરવો છે ત્યાં સુધી અને તેથી આગળ ભણવું હશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપાડવામાં આવશે. તેમની આ વાતને લોકો દ્વારા આવકારવામાં આવી છે.
આ અંગે ભાવનાબેને જણાવ્યું કે, કોળી સમાજની દીકરી મમતાએ માતા-પિતાને મદદરૂૂપ થવા એક વર્ષ પહેલા અભ્યાસ છોડી દીધો હતો. પરિવાર આઘાતમાંથી બહાર આવશે , હું પોતે અને સમાજના બીજા શિક્ષિત બહેનો આ પરિવાર પાસે જઈ સમજાવી મમતા ફરી અભ્યાસમાં લાગે તેવા પ્રયત્નો કરીશું.
મમતાએ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, ત્યારે હું તેની માતા ન બની શકું પરંતુ મારી સંસ્થા તેને અભ્યાસ કરાવી છત્રછાયામાં રાખી માતા જેવો પ્રેમ આપી બધા જ લોકો તેને આઘાતમાંથી બહાર લાવી તેના પગભર ઉભા રાખવા પ્રયત્નો કરીશું.
