રાજકોટ મેયર ડૉ. નેહલ શુક્લનો ઐતિહાસિક નિર્ણય: રોડના કામોમાં ભ્રષ્ટાચાર રોકવા સ્થળ પર પર માહિતી દર્શાવતી ‘તકતી’ લગાવવી ફરજિયાત

રાજકોટમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર અટકાવવા મેયર ડૉ. નેહલ શુક્લનો ઐતિહાસિક નિર્ણય. દરેક સ્થળે માહિતી દર્શાવતી તકતી અને જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા ફરજિયાત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 29 Aug 2026 02:20 PM (IST)Updated: Sat, 29 Aug 2026 02:20 PM (IST)
rajkot-mayor-dr-nehal-shukla-mandatory-display-board-on-road-works-corruption-prevention

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકામાં રોડ-રસ્તાના કામોમાં ચાલતી કથિત ગેરરીતિઓ અને નબળી ગુણવત્તા સામે મેયર ડૉ. નેહલ શુક્લે લાલ આંખ કરીને એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.

સત્તાવાર તક્તી લગાવવાનું ફરજિયાત

શહેરમાં બનતા નવા રસ્તા કે રિપેરિંગ કામોમાં કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ચાલતી લાલિયાવાડીનો કાયમી અંત લાવવા માટે હવેથી દરેક સાઈટ પર વિગતો દર્શાવતી સત્તાવાર તકતી લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવા નિયમ અનુસાર, સાઈટ પર માત્ર તકતી લગાવી દેવાથી કામ પૂર્ણ નહીં થાય; કોન્ટ્રાક્ટરે તકતી લગાવ્યા બાદ તેના જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ મનપાની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવા પડશે.

તકતી ગાયબ થશે તો દંડાત્મક પગલાં લેવાશે

આ ઉપરાંત, જ્યાં સુધી તે રોડનો ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ ચાલુ રહેશે. ત્યાં સુધી તે તકતી સુરક્ષિત અને વાંચી શકાય તેવી સ્થિતિમાં જળવાઈ રહે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે. જો તકતી ગાયબ થશે કે તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક પગલાં લેવાશે. ગુણવત્તા અને વિલંબ સામે પ્રજા સીધી ફરિયાદ કરી શકશે.