Vibrant Gujarat Regional Conference 2026: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્રનું આજે ભવ્ય સમાપન થયું હતું. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ સાબિત થઈ છે, જેમાં આ પ્રદેશના વિકાસ માટે કુલ રૂ. 5.78 લાખ કરોડના 5492 સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
વિકસિત ભારત @2047નો રોડમેપ
સમાપન સમારોહમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગૌરવભેર જાહેરાત કરી હતી કે, વર્ષ 2047 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર પાસે નક્કર આયોજન છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રાને યાદ કરતા જણાવ્યું હતું કે- વર્ષ 2003માં જ્યારે પ્રથમ વખત વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે માત્ર 80 MOU થયા હતા, તેની સામે આજે રાજકોટની આ એક જ રિજનલ કોન્ફરન્સમાં 5492 MOU થયા છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર ઉદ્યોગ જગતનો અતૂટ ભરોસો દર્શાવે છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે- આ કોન્ફરન્સમાં 24 દેશોના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ઉદ્યોગ સાહસિકોની હાજરી એ સાબિત કરે છે કે ભારત હવે વિશ્વમંચ પર નવી ઊંચાઈઓ આંબી રહ્યું છે.
ન્યૂ એજ ટેક્નોલોજી અને સેમી કન્ડક્ટર હબ
રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના સાહસિકોને પરંપરાગત ઉદ્યોગોની સાથે 'ન્યૂ એજ ટેક્નોલોજી' ક્ષેત્રે રોકાણ કરવા આહવાન કર્યું હતું. તેમણે મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો:
સેમી કન્ડક્ટર હબ: વર્ષ 2027 સુધીમાં ગુજરાત સેમી કન્ડક્ટર ક્ષેત્રે દેશનું મોટું હબ બનશે.
પ્રવાસન ક્રાંતિ: પોરબંદર, દ્વારકા અને સોમનાથનો દરિયાકાંઠો દુનિયાનું સૌથી મોટું પ્રવાસન ક્ષેત્ર બનવા તરફ અગ્રેસર છે.
ઉદ્યોગ સાહસિકતા: કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં વેપાર અને સાહસિકતા રહેલી છે, જે હવે વિશ્વ સ્તરે પોતાની ક્ષમતા ઉજાગર કરી રહી છે.
યુવા પેઢી માટે નવી દિશાઓ
ઉદ્યોગ સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે, આ બે દિવસ દરમિયાન "સ્કેલ અને સ્કીલ" ના સમન્વય સાથે 50થી વધુ સેમિનાર અને રિવર્સ બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી યુવા ઉદ્યોગ સાહસિકોને નવી દિશા મળી છે. ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપે પ્રેઝન્ટેશન દ્વારા આ કોન્ફરન્સની સફળતાની તલસ્પર્શી વિગતો રજૂ કરી હતી.
સન્માન અને વિમોચન
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે “Kutch & Saurashtra: Anchoring Gujarat’s vision” નામના વિશેષ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એમ.એસ.એમ.ઈ. (MSME) એકમો અને હસ્તકલાના કારીગરોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાગરિકો માટે સૂચના
મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના નાગરિકો અને ઔદ્યોગિક એકમોને અનુરોધ કર્યો છે કે, મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત ઔદ્યોગિક એક્ઝિબિશન તારીખ 15 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો વધુમાં વધુ લોકોએ મુલાકાત લઈ લાભ લેવો જોઈએ.
આ સમાપન અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, અગ્રણી ઉદ્યોગકારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
