Jigisha Patel Rajkot: ગણેશ જાડેજાએ સુલતાનપુરની સભામા ફેંકેડા પડકાર બાદ ગઈકાલે અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ સહિત પાટીદાર નેતાઓ અને કાર્યકર્તાઓ ગોંડલમાં આવ્યા હત. જેનો ગોંડલમાં તમામ જ્ઞાતિના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન પાટીદાર નેતાઓની કાર પર હુમલો થયો હતો. આ પછી બંને પક્ષોએ સામસામી ફરિયાદ પણ કરી હતી. ત્યારે આગામી સમયમાં પાટીદાર નેતાઓની શું રણનીતિ રહેશે તે અંગે કુર્મીસેનાના પ્રમુખ જીગીશા પટેલે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરીને જણાવ્યું હતું.
કુર્મીસેનાના પ્રમુખ જીગીશા પટેલે ગોંડલ અંગે તેમની આગામી રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું કે, અમે લોકો પહેલાંથી કહેતા હતા કે, ગોંડલમાં ગુંડાગીરી છે. ગોંડલમાં વિનુભાઈ સિંગાળાની મૂર્તિ મૂકવા માટે સુરતમાં મિટિંગ કરી હતી. જેના રિએક્શનમાં આ લોકોએ સુલતાનપુરમાં સભા કરી હતી. વિનુભાઈ સિંગાળાની મૂર્તિ મૂકવા માટે અમે ગામડે-ગામડે સભા અને મિટિંગો ઓ કરી રહ્યા છીએ. હવે અમે સુલતાનપુરમાં પણ મિટિંગ અને સભા કરીશું. હવે આખા ગુજરાતમાં આ બાબતે મિટિંગના દોર શરૂ થશે.
સ્થાનિકો દ્વારા પાટીદાર નેતાઓના કરાયેલા વિરોધ વિશે જણાવ્યું કે, અમે જીવના જોખમે નીકળી ગયા છીએ, અમારે શું સાવધાની રાખવાની? અમારે જે દેખાડવાનું હતું અને લોકો સુધી પહોંચાડવાનું હતું કે, ગોંડલમાં ભયનો માહોલ છે એ ગઈકાલે તે લોકોએ જાતે સાબિત કરી દીધું છે. આ લોકો મને મારશે, ખોટા કેસમાં ભરાવી દેશે એ સિવાય બીજું શું કર લેશે એવું વિચારીને હું નીકળી જ ગઈ છું. અન્યાયની સામે લડવાનું છે.
ગોંડલમાં થયેલી પોલીસ ફરિયાદ વિશે જણાવ્યું કે, સામ સામે થયેલી ફરિયાદમાં એમના તરફથી એવું લખાવવામાં આવ્યું છે કે, ટોળા પર ગાડી ચડાવીને માનવવધનો પ્રયત્ન કર્યો છે. આ બાબતે મારો સવાલ છે કે, આ વાતનો એમની પાસે શું પૂરાવો છે. અમારી જે ફરિયાદ છે કે, ગાડીઓના કાંચ તોડ્યા અને તોડફોડ થઈ છે એના પૂરાવા છે. ખોટી ફરિયાદ થવાની હતી એ તો અમને ખ્યાલ જ હતો.
પ્રોટેસ્ટ કરતા લોકોને એટલે મેં હાર પહેરાવાનો પ્રયત્ન કર્યો કેમ કે, તે લોકો હત્યારાઓને છાવરે છે તો ભગવાન તમને સદબુદ્ધિ આપે. તમે જે કાંઈ કરો છો એમાં તમારા વિરોધને પણ આવકારીએ છીએ. આજે નહીં તો કાલે તમે અમારી જોડે ઊભા હશો.
જયરાજસિંહ જાડેજાના નિવેદન વિશે જણાવ્યું કે, અત્યારે ચૂંટણીનો કોઈ માહોલ નથી, પણ આ ઘટનાને ચૂંટણી સાથે સરખાવી દીધી છે. અમે તો પહેલાંથી જ કહીએ છીએ. ગોંડલમાં જે કાઈ થયું એમાં એ બાબતે અમે અવાજ ઉઠાવ્યો છે. એ લોકો આ વસ્તુને ક્યાંકને ક્યાંક રાજકીય અને ચૂંટણીલક્ષી લઈ જવાની વાત કરે છે. એમના સ્ટેટમેન્ટનો કોઈ જવાબ જ ના હોય અને આપવાનો પણ ના હોય. હંમેશા પોતાની જાત અને સત્તાને બચાવવા માટે મુદ્દાને ડાયવર્ટ કરે છે.
અંતમાં જણાવ્યું કે, વિનુભાઈ સિંગાળા ગોંડલની તમામ જનતા માટે લડતા હતા. ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાનું મર્ડર થઈ ગયું, વિનુભાઈ સિંગાળાનું મર્ડર થયું એટલે અમારે આ લોકોના કાર્યની ધરોહરને જાળવી રાખવી છે. આ માટે અમે મૂર્તિ મૂકવાની વાત છે તે કરી હતી એ આ લોકોને ગમ્યું નથી.
