Rajkot News: રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે કુદરતનો એક અનોખો અને વિસ્મયજનક ચમત્કાર જોવા મળ્યો છે. ગામમાં આવેલી વિઠ્ઠલભાઈ દેસાઈભાઈની વાડીમાં બોરવેલનું ખોદકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જમીનમાંથી પાણીનો ફુવારો ફૂટી છૂટ્યો હતો.
લોકો જોવા માટે ઉમટ્યા
પાણીનું દબાણ એટલું પ્રચંડ હતું કે, ફુવારો અંદાજે 20 ફૂટથી પણ વધુ ઊંચાઈએ ઊછળ્યો હતો. જોતજોતામાં સમગ્ર વાડી અને આસપાસના ખેતરના વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં. ધરતીમાંથી અચાનક પ્રગટેલી આ જોવા માટે આસપાસના સીમ વિસ્તારો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ આ અદ્ભુત અને અલૌકિક દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધાં હતાં
ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ
વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ચાલુ મોસમમાં વરસાદ ખેંચાતાં સમગ્ર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. તેવા સમયે જ બોરવેલમાંથી અણધારી રીતે ફૂટી નીકળેલા આ વિપુલ જળપ્રવાહે સ્થાનિક ખેડૂત પરિવાર સહિત સમગ્ર પંથકમાં ખુશી અને રાહતની લહેર પ્રસરાવી છે.
