Palanpur News: બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં પતિ પત્નીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ પત્ની પસંદ ન હોવાથી મિત્રોને વેચી નાખી હતી. ઉપરાંત લોકોને શંકા ન જાય માટે પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની એફઆઈઆર પણ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનાના આરોપી પતિ તેમજ તેના મિત્રોને ઝડપી લીધા છે.
પતિએ પત્નીથી પીછો છોડાવવા કાવતરુ ઘડ્યું
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતો યુવક તેની પત્નીને પસંદ કરતો નહોતો. તેમજ પત્ની સાથે તેના સંબંધો પણ સારા નહોતા. તેમજ છૂટાછેડા પણ શક્ય ન જણાતા તેણે પોતાની પત્નીને દૂર કરવા માટે એક કાવતરુ ઘડી કાઢ્યું હતું. આરોપી પતિએ પોતાના મિત્રો સાથે મળીને પત્નીને ધમકાવીને રુ.50 હજારમાં મિત્રોને વેચી દિધી હતી. તેમજ 11 મેના રોજ આરોપીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.
આરોપી પતિએ પોલીસ સામે હકીકત જણાવી
પત્નીના ગુમ થયાના 2 દિવસ પછી આરોપી પણ ગુમ થઈ ગયો. આથી આરોપી યુવકના પિતાએ પણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના આદેશથી પોલીસે યુવક અને તેની પત્નીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે યુવકને શોધી કાઢીને આકરી પૂછપરછ કરતા, આરોપી યુવકે સઘળી હકીકત જણાવી હતી.
મહિલા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું
પોલીસે મહિલાને શોધી કાઢી. તેણે પોલીસ સમક્ષ હકીકત જણાવી કે, આરોપી પતિ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. જે બાદ આરોપીએ 50 હજારમાં મિત્રોને વેચી દીધી હતી. ઉપરાંત આરોપીઓએ મહિલાને 7 દિવસ ગોંધીને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત આરોપીઓએ તેની કાનની બુટ્ટીઓ કાઢીને અન્ય જગ્યાએ વેચી દીધી હતી.
સાત આરોપીઓની ધરપકડ કરાઈ
ડીવાયએસપી જે.જે ગામીતના ક્હ્યા મુજબ, આરોપીનો ગુનાહિત ઈતિહાસ રહેલો છે. તેમજ વિકૃત માનસિકતા ધરાવનાર યુવક બે યુવતીઓને ભગાડી ગયો હતો. તેમજ અગાઉ પણ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. જે ગુનામાં આરોપી પતિ, ટીનાજી મથુરજી ઠાકોર, શૈલેષકુમાર ઉર્ફે સંજય હેમરાજભાઈ ઠાકોર, સચિન મંગળસિંહ ઠાકોર, અશોક ઠાકોર, હિના ટીનાજી ઠાકોર, સ્વરૂપ અમરતભાઈ ઠાકોરની અટકાયત કરી છે.
