Gujju Love Guru Death: સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' નામે જાણીતા કોમેડી કિંગ ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેમના અકસ્માતના સમાચાર સામે આવતા ચાહકો અને સબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. કોમેડી કિંગના અકાળે અવસાનથી વાવ-થરાદ પંથક સહિત સોશિયલ મીડિયા જગતમાં શોક છવાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ચંદન રાઠોડ આજે બાઈક પર ભાભર-સૂઈગામ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન હરિધામ ગૌશાળા નજીક તેમના બાઈકને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદન રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે ભાભરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'ગુજ્જુ લવ ગુરુ'ના ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફૉલોઅર્સ, YouYube પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ
ચંદન રાઠોડ 'ગુજ્જુ લવ ગુરુ'ના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ જેટલા ફોલોઅર્સ ધરાવતા હતા. જ્યારે યુટ્યૂબ પર તેમના 10 લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ છે. ચંદન રાઠોડ પોતાની આગવી અદાથી કોમેડી થકી લોકોને હસાવતા હતા.
અકસ્માત પહેલા જ ચંદન રાઠોડે જિંદગી અને મોત અંગે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, જેનો કોઈ ભરોસો નથી, તેનું નામ છે જિંદગી. જ્યારે જેનો 100 ટકા ભરોસો છે, તેનું નામ છે મોત. તેમની આ અંતિમ પોસ્ટને 80 હજાર લોકોએ લાઈક કરી છે. એવામાં તેમના અચાનક અવસાનથી મિત્રો, પરિવારજનો તેમજ તેમના ફોલોઅર્સમાં શોક છવાયો છે.
