ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું રાજકારણમાં 'ગ્રાન્ડ એન્ટ્રી'નું એલાન; અંબાજીમાં જાહેર મંચ પરથી કહ્યું- 'આજે નહીં તો કાલે, હું ચોક્કસ જોડાઈશ'

નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરે કરેલી આ જાહેરાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 19 Jan 2026 04:30 PM (IST)Updated: Mon, 19 Jan 2026 04:31 PM (IST)
gujarati-actor-vikram-thakor-hints-at-political-entry-from-ambaji-bhavanidham-yatra-gujarat

Vikram Thakor News: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે આખરે રાજકારણમાં પ્રવેશવાના સંકેતો આપી દીધા છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત 'ભવાનીધામ સંકલ્પયાત્રા' દરમિયાન તેમણે જંગી મેદનીને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોવા મળશે.

વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે

વિક્રમ ઠાકોરે સભામાં હાજર સમર્થકોને સંબોધતા કહ્યું કે, "હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું. જ્યારે પણ હું મોટા કાર્યક્રમોમાં જાઉં છું ત્યારે મને એક જ સવાલ પૂછવામાં આવે છે કે - 'બાપુ, તમે ટિકિટ લેવાના છો?' તો આજે હું કહી દઉં છું કે, આજે નહીં તો કાલે, હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ."

દિગ્ગજ નેતાઓની હાજરીમાં જાહેરાત

આ સંકલ્પયાત્રામાં અભિજિતસિંહ બારડ સહિત અનેક ક્ષત્રિય નેતાઓ અને રાજકીય આગેવાનો હાજર હતા. આ નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરે કરેલી આ જાહેરાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. તેમની આ જાહેરાત બાદ પાંડાલમાં હાજર હજારો સમર્થકોએ હર્ષનાદ સાથે તેમને વધાવી લીધા હતા.

ઉત્તર ગુજરાતના સમીકરણો બદલાશે?

વિક્રમ ઠાકોર ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે લોકચાહના ધરાવે છે. ઠાકોર સમાજ સહિત અન્ય વર્ગોમાં પણ તેમનો મોટો પ્રભાવ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો વિક્રમ ઠાકોર ચૂંટણીના મેદાનમાં ઉતરે છે, તો ઉત્તર ગુજરાતની અનેક બેઠકો પર રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

કયો પક્ષ પકડશે હાથ?

જોકે, વિક્રમ ઠાકોરે અત્યારે એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કયા રાજકીય પક્ષમાં જોડાશે. અગાઉ અનેકવાર તેમના ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ થતી રહી છે, પરંતુ પ્રથમ વખત તેમણે જાહેરમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે ગુજરાતી પડદાનો આ 'રોમિયો' રાજકારણના મેદાનમાં કયા પક્ષના પ્રતીક સાથે એન્ટ્રી કરે છે.

વિક્રમ ઠાકોરની રાજકીય સફરના મુખ્ય મુદ્દાઓ:

  • ઘોષણા સ્થળ: ભવાનીધામ સંકલ્પયાત્રા, અંબાજી.
  • મુખ્ય નિવેદન: "રાજકારણમાં જોડાવાનું નક્કી છે, સમય માત્ર જોવાનો રહ્યો."
  • તાકાત: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લાખો સમર્થકોનો બેઝ.
  • રાજકીય પ્રભાવ: ઠાકોર અને ક્ષત્રિય સમાજ પર પકડ.