Narmada News: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે બની રહેલ આદિવાસી મ્યુઝિયમ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. આદિવાસી મ્યુઝિયમ ખાતે ગામના બે વ્યક્તિઓને ઢોર માર મારવાનો બનાવ બન્યો હતો. જેમાં ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું હતું અને આજે બીજા વ્યક્તિનું પણ મોત થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ આવ્યા છે.
ગઈકાલે આદિવાસી મ્યુઝિયમ ખાતે કામ કરતા જયેશ તડવી અને સંજય તડવીને સત્યમ કન્ટ્રક્શન કંપનીના વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેના કારણે ગઈકાલે જયેશ તડવીનું મોત નીપજ્યું હતું અને હવે આજે સંજય તડવીનું પણ મોત નીપજ્યું છે. જોકે, આ ઘટના અંગે જાણ થતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી મ્યુઝિયમમાં જ્યાં ઘટના બની હતી તે સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યકરો સાથે ધરણા પર બેઠા હતા.
ચૈતર વસાવાએ મૃત્યુ પામનારને એજન્સી દ્વારા 1 કરોડની સહાય અને ઇજા થનાર વ્યક્તિને 50 લાખની સહાય તથા એજન્સીને આરોપી નહી બનાવાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારવાની ચીમકી આપવામાં આવી હતી. જેથી સત્યમ કન્સ્ટ્રકશનના માલિકે મૃતકોને આર્થિક સહાય આપવાની ચૈતર વસાવાની માગ સ્વીકારી હતી.
બીજી તરફ નાંદોદના ધારસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ગરુડેશ્વર પી એચ સી સેન્ટર ખાતે પહોંચી મૃતકના પરિવારજન સાંત્વના આપી હતી. સાથે જ ઘટના સ્થળની પણ મુલાકાત કરી ત્યાં પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે બે હાથ જોડીને સરકારને વિનંતી કરી કે આ ગુનામાં આરોપીઓને સખત સજા થાય. સાથે જ મૃતકોના પરિવારજનોએ પણ આરોપીઓને ફાંસીની સજાની આપવા માંગ કરી છે. તેમજ આ કન્સ્ટ્રકશન કંપનીનો કોન્ટ્રાકટ રદ કરવા અને આવા બહારથી આવતા કોન્ટ્રાક્ટરોને આદિવાસી વિસ્તારમાં કામ ન આપવાની પણ માંગ કરી છે.
