Mehsana:ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળેલા કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો છે. આજથી 6 વર્ષ પૂર્વે એટલે કે 2019માં વડનગરમાંથી આ એક હજાર વર્ષ જૂનું કંકાલ અને તેની ખોપરી પણ મળી આવી હતી. આ બન્નેનું લખનઉના બિરબલ સાહની ઈન્સ્ટીટ્યૂટ ઑફ આર્કિયોલૉજીમાં DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
લખનઉના ડૉ. નીરજ રાય દ્વારા દાંત અને કાનના હાડકામાંથી સેમ્પલ લઈને DNA ટેસ્ટ કર્યો હતો. જેના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યારે મળી આવેલી ખોપરી બે હજાર વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે.
યોગ મુદ્રામાં મળેલ કંકાલ સંભવતઃ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહ્યું હશે. જ્યાં ભારતના અલગ-અલગ રાજ્યો ઉપરાંત મધ્ય એશિયાથી પણ લોકો આવતા હશે. કંકાલોનું કાર્બન ડેટિંગ અને અન્ય સાયન્ટિફિક ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આગામી મહિને તેનો વિસ્તૃત DNA રિપોર્ટ આવવાની શક્યતા છે.
જણાવી દઈએ કે, 2019માં વડનગરમાં ઉત્ખનનની કામગીરી દરમિયાન તપસ્યામાં લીન એક સંન્યાસીનું કંકાલ મળી આવ્યું હતુ. આ ઉપરાંત બુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો પણ મળ્યા હતા, જેમાં બે રૂમ અને ચાર દીવાલો પણ સામેલ છે. જેની દીવાલો એક મીટર પહોળી અને બે મીટર ઊંચી છે, જે તે સમયના મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચરને દર્શાવે છે.
યોગ મુદ્રામાં મળેલ નરકંકાલની રચના બુદ્ધની ધ્યાન અવસ્થા જેવી છે. કેટલાક પુરાતત્વવિદો તેને યોગ મુદ્રામાં લેવામાં આવેલી સમાધિ માની રહ્યા છે, જે પ્રાચીન ભારતમાં યોગ અને ધ્યાનની પરંપરા દર્શાવે છે. હાલ વડનગરમાં રૂ. 4 હજાર કરોડના ખર્ચે આર્કિયોલૉજીકલ મ્યૂઝીયમ બનાવવામાં આવી રહ્યું છે.
