Mehsana: વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થશે, પ્રવાસીઓને 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ મળશે

વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરાવી, જેથી વડનગર શહેર પ્રવાસીઓમાટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Jan 2025 03:46 PM (IST)Updated: Wed, 15 Jan 2025 03:46 PM (IST)
mehsana-news-amit-shah-to-innaugrate-archaeological-museum-in-vadnagar
HIGHLIGHTS
  • નરેન્દ્ર મોદીની પ્રેરણાથી થયો વડનગરનો વિકાસ

Mehsana: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે.

ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT ગાંધીનગર, અને IIT રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીની પ્રેરણાથી થયો વડનગરનો વિકાસ
વડનગરમાં રહેલી પ્રવાસનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમના નેતૃત્વ હેઠળ વડનગરમાં વિવિધ પ્રવાસન આકર્ષણો તેમજ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બૌદ્ધ સર્કિટનો વિકાસ થઈ રહ્યો છે, જેનો એક હિસ્સો વડનગરમાંથી પસાર થાય છે. ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે, તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, મલ્હાર રાગ ગાઈને સંગીત સમ્રાટ તાનસેનના દેહના દાહને શાતા આપનાર વડનગરની બે બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં કરાવી હતી. તાના-રીરી મહોત્સવ આજે વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યો છે, જેમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા કલાકારોને ‘તાના-રીરી’ એવોર્ડ પણ આપવામાં આવે છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ વડનગર અને તેની આસપાસના વિસ્તારના લોકોને તબીબી સુવિધાઓ અને સારવાર માટે વડનગરમાં અદ્યતન હોસ્પિટલ પણ શરૂ કરાવી છે. તેમના પ્રયાસો થકી ગુજરાતનું વડનગર શહેર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરને ત્રણ નવા વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે.

આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ: 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્તત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમને પુલ મારફતે ખોદકામની લાઇવ સાઇટ સાથે જોડવામાં આવ્યું છે. રૂ.298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે, આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે.

પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે.

‘પ્રેરણા સંકુલ’: આધુનિક ટેક્નિકની સાથે-સાથે નૈતિક મૂલ્યોના પાઠ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી રૂ.72 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘પ્રેરણા સંકુલ’ને રાષ્ટ્રને સમર્પિત કરશે. ‘પ્રેરણા સંકુલ’ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે. 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે, જેમાં નવી ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે.

પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે. આ સ્કૂલ યુવાનોને એ માર્ગ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે, જ્યાંથી વડાપ્રધાનશ્રીની શૈક્ષણિક યાત્રા શરૂ થઈ હતી. સ્ટડી ટુર હેઠળ દેશના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અહીંયા એક સપ્તાહ સુધી ભણવા માટે આવે છે. અત્યારસુધીમાં દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના 36 ગ્રુપ અહીંયા ભણવા માટે આવી ચૂક્યા છે, જેમાં 720 વિદ્યાર્થીઓ અને 360 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ પરિસરમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમને IIT, ગાંધીનગર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં 9 મૂલ્ય-આધારિત વિષયો સામેલ છે.

પરિસર વિકાસકાર્ય
અમિત શાહ વડનગરના વારસાને સુરક્ષિત રાખવા માટે શરૂ કરવામાં આવેલા પરિસર વિકાસકાર્યનું અવલોકન પણ કરશે. પરિસર વિકાસકાર્ય અંતર્ગત, ચાર સંકુલમાં વારસાના સંરક્ષણ અને વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રવેશ પુનઃસ્થાપન, રસ્તાનું બાંધકામ, ઇમારતનો પુનઃઉપયોગ, રાહદારીઓ માટે સંકેતો અને શેરીઓના ફર્નિચરમાં સુધાર જેવા કાર્યો હાથ ધરવામાં આવશે.

પરિસરના વિકાસ દ્વારા ધરોહર યાત્રા માર્ગ તૈયાર કરવામાં આવશે, જે વડનગરના ઇતિહાસનો ઊંડાણથી અનુભવ કરવાની તક પ્રદાન કરશે. ‘પ્રેરણા સંકુલ’ આ તમામ માર્ગોનું કેન્દ્રબિંદુ હશે, જ્યાં તમામ ધરોહર યાત્રાઓ સમાપ્ત થશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશે. તેનો ઉદ્દેશ ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાનો અને એથલીટ્સના પ્રદર્શનને બહેતર બનાવવાની સાથે-સાથે તેમના વિકાસમાં મદદ કરવાનો છે. આ પરિસર નવી રમત-ગમત પ્રતિભાઓને બહાર લાવશે. અહીંયા પેરા સ્પોર્ટ્સ કાર્યક્રમ, વર્કશોપ્સ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને દિવ્યાંગ એથલીટ્સની ભાગીદારીને પ્રોત્સાહન આપીને એક સમાવેશી રમત-ગમત સંસ્કૃતિને વિકસિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

રૂ.33.50 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેસક્સમાં વિવિધ પ્રકારના ઇનડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે. સાથે જ, આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્ટેટિક એથલેટિક ટ્રેક, એક એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખો-ખો અને વૉલીબોલ મેદાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક છાત્રાલયનું બાંધકામ પ્રગતિમાં છે, જેમાં 100 છોકરાઓ અને 100 છોકરીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે.

વડનગરની મુલાકાત દરમિયાન શ્રી અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.